GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરમાં હથિયારબંધી

તા.૧/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેરમાં ધાર્મિક શોભાયાત્રા, વિવિધ તહેવારોની ઉજવણી તેમજ વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા રેલી, ધરણા જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. જેને ધ્યાને લઈને કાયદો વ્યવસ્થા, જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે અને અનિચ્છનીય બનાવો ન બને, તે માટે શહેર પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝા દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરાયા છે.

જે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના વિસ્તારમાં શસ્ત્રો, તલવાર, ભાલા, ખંજર, છરી સહિતના શારીરિક ઈજા કરી શકાય તેવા હથિયારો તેમજ સ્ફોટક પદાર્થ સાથે રાખીને ફરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેર જગ્યાએ પરવાનાવાળા હથિયારો લઈ જવા, હવામાં ફાયર કરવા, મેળા, ધાર્મિક સરઘસ કે સમુદાયમાં લઈ જવા તેમજ પ્રાઇવેટ સીક્યુરીટી એજન્સીના કમીઓએ ફરજ સમય સિવાય લાયસન્સવાળા હથિયારો લઈ જવા પર પ્રતિબંધ છે. પથ્થરો અને શસ્ત્રો ફેંકવાના સાધનો એકઠા કરવા તથા સરઘસમાં પેટાવેલી મશાલો લઈ જવા તેમજ પુતળા બાળવા-લટકાવવા તથા લોકોએ બુમ પાડવા, ગીતો ગાવા તથા વાદ્ય વગાડવા, જીગ્ઝેક ચપ્પુઓ સાથે રાખવાની મનાઈ છે. ઉપરાંત, સુરૂચિનો ભંગ થતો હોય અથવા રાજય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવા, નકલ કરવા તથા ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો તૈયાર કરવા અને તેનો ફેલાવો કરવા પર પ્રતિબંધ મુકાયો છે.

ઉલ્લેખનીય છે કે સરકારી અને અર્ધસરકારી કર્મચારી કે જેને ઉચ્ચ અધિકારીએ કોઈપણ હથિયાર લઈ જવાનું ફરમાવ્યું હોય, વૃદ્ધો તથા અશકતો કે જેઓને લાકડીના ટેકે ચાલવાનું હોય તેમજ સક્ષમ સત્તાધિકારી તરફથી જેને પરવાનગી આપવામાં આવેલી હોય તેવી વ્યકિતઓને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!