NATIONAL

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ચૂંટણીલક્ષી મોટી જાહેરાત, 125 યુનિટ વીજળી ફ્રી મળશે

બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા નીતિશ સરકારે રાજ્યના વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. બિહારમાં 125 યુનિટ મફત વીજળીની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના સત્તાવાર એકાઉન્ટ એક્સ પર આ વિશે માહિતી આપી છે. મુખ્યમંત્રીએ એક્સ પર લખ્યું કે, ‘આપણે શરુઆતથી જ સસ્તા ભાવે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ. હવે અમે નક્કી કરી લીધું છે કે, પહેલી ઑગસ્ટ, 2025થી રાજ્યના તમામ ઘરેલુ ગ્રાહકોની સંમતિ લીધા પછી, તેમને તેમના ઘરોની છત પર અથવા નજીકના જાહેર સ્થળોએ સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરીને લાભ આપવામાં આવશે.

કુટીર જ્યોતિ યોજના હેઠળ, રાજ્ય સરકાર અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે અને બાકીની રકમ માટે પણ પૂરતો સહયોગ આપશે. જેના કારણે, ઘરેલુ ગ્રાહકોને 125 યુનિટ સુધી વીજળી પર કોઈ ખર્ચ કરવો નહીં પડે. એક અંદાજ મુજબ, આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 10 હજાર મેગાવોટ સુધીની સૌર ઊર્જા ઉપલબ્ધ થશે.

નોંધનીય છે કે, બુધવારે પણ મુખ્યમંત્રી નીતિશ કુમારે એક મહત્ત્વપૂર્ણ સૂચના આપી હતી. મુખ્યમંત્રી નીતિશ કુમારના આ નિર્દેશથી બિહારમાં સરકારી શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા ઉમેદવારોને મોટી રાહત મળી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, ‘અમે શિક્ષણ વિભાગને સરકારી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની તાત્કાલિક ગણતરી કરવા અને આ અંગે નિમણૂક માટે ટૂંક સમયમાં TRE 4 પરીક્ષા યોજવા માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે. રાજ્ય સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ભરતી પ્રક્રિયામાં મહિલાઓ માટે 35 ટકા અનામતનો લાભ ફક્ત બિહારની રહેવાસીઓને મહિલાઓને જ મળશે.’

Back to top button
error: Content is protected !!