બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે જાહેર કરાઈ માર્ગદર્શિકા
31 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મગફળીના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે ખેડુતોએ લેવાના થતાં પગલાં જિલ્લા ખેતીવાડી અધિકારી, પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લાની ખેતીમાં મગફળી એક મહત્વપૂર્ણ પાક છે. આ ઊભા પાક દરમિયાન થતા વિવિધ સંકલિત રોગ વ્યવસ્થાપન અંગે અને હાલની હવામાનની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી ખેડૂત ભાઈઓને વિવિધ પગલાં સૂચવવામાં આવ્યા છે.મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ) અને સફેદ ફૂગના નિયંત્રણ માટે ઉભા પાકમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ત્યાં બહારથી માટી લાવી ફુગ ઢંકાઈ જાય તે રીતે નાંખવી અને પગથી જમીનને દબાવી દેવી. ટ્રાયકોડર્મા હારજીયાનમ આધારીત ૨.૫ કિલો પાવડરને ૨.૫ કિલો રેતીમાં ભેળવી વાવેતરના એક માસ બાદ થડ પાસે આપી પિયત આપવું.સફેદ ફૂગના નિયંત્રણ માટે મગફળીના વાવેતર બાદ સમાર મારવો અને પાળા ચડાવવા નહી. વધારે પડતી આંતરખેડ ન કરવી. ટપકાના રોગથી પાન ખરી પડે તો સફેદ ફુગને ખોરાક મળે છે અને આ રોગ વધે છે. ટપકાને કારણે પાક પાકતા પહેલા પાન ખરી ન પડે તે માટે જરૂરી દવાઓનો છંટકાવ કરવો. થડનો કોહવારો અને ડોડવાનો સડો (સ્ટેમ રોટ)ના નિયંત્રણ માટે જો ટ્રાયકોડર્મા કલ્ચર વાવણી સમયે ચાસમાં આપી શકાયેલ ન હોય તો વાવણી બાદ ૩૦ દિવસે પંપમાં ૫૦ ગ્રામ પ્રમાણે (પંપમાં નોઝલ કાઢી) છોડના મૂળની આસપાસ રેડી શકાય. લીમડાનાં તાજા પાનનો અથવા લીંબોળીનાં અર્કના ૧ ટકાનાં દ્રાવણનો ૩૦, ૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી પાનનાં ટપકાંનું અને ગેરૂ રોગનું નિયંત્રણ કરી શકાય છે.મગફળીમાં અગ્રકાલિકાનો સુકારો રોગ થ્રીપ્સ મારફતે ફેલાતો હોવાથી શોષક પ્રકારની કીટનાશક દવાઓનો જરૂર મુજબ છંટકાવ કરવો. ઊભા પાકમાં મૂળનો સડો થતો અટકાવવા માટે જરૂર જણાયે પૂરતા પ્રમાણમાં પાણી આપવું. મગફળીમાં આફલારોટના વ્યવસ્થાપન માટે ઉભા પાકમાં આંતરખેડ અને નિંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઇજા ન થાય તેની સાવચેતી રાખવી.આફલારૂટ રોગના નિયંત્રણ માટે કાપણીની અવસ્થાએ જો ભેજની ઉણપ હોય તો છેલ્લા ૨૦-૨૫ દિવસ હળવું પિયત આપવું. મગફળીના ડોડવા અને દાણામાં ૮ ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સુકવીને ભેજ મુક્ત જગ્યાએ સંગ્રહ કરવો.પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો.