અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસામાં ઐતિહાસિક પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ “વૃક્ષ કાવડ યાત્રા” યોજાઈ,ગાયત્રી પરિવાર યુથ ગૃપ મોડાસા એ કર્યું આ યાત્રાનું આયોજન
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાન્તિકુંજ હરિદ્વાર પ્રેરિત વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જી.પી.વાય.જી. ટીમ દ્વારા છેલ્લા ૨૧૨ રવિવારથી “પ્રાણવાન સન્ડે” અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહેલ છે. જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં “મારું ઘર મારું વૃક્ષ” નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ રહ્યા છે. જેમાં નાના રોપાઓને તરુપુત્ર, તરુમિત્રના ભાવ – સંકલ્પ સાથે વાવવામાં આવેલ છે. જે છેલ્લા ચાર વર્ષથી અવિરત ચાલી રહેલ જે. જેમાં ચાર હજારથી વધુ વૃક્ષ વાવવામાં આવ્યા છે.પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેકને લઈ કાવડ યાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે. જે અનુરૂપ જન જનને પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા ૩ ઑગસ્ટ રવિવારે મોડાસામાં ગાયત્રી પરિવાર યુથ ગૃપ દ્વારા “વૃક્ષ કાવડ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું.
આ વૃક્ષ કાવડ યાત્રા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રથી શુભારંભ થયો.અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડીયા સહિત અનેક અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં. કલેક્ટર દ્વારા વૃક્ષ રથનું પૂજન કરવામાં આવ્યું, લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું. યુવાઓ ખભે કાવડમાં શિવજીને પ્રિય એવા વૃક્ષોના રોપાઓ લઈ ચાલતા રહ્યાં. અનેકના હાથમાં પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ જતન માટેના સદવાક્યોના બેનર હાથમાં લઈ પર્યાવરણ બચાવ- વૃક્ષારોપણ ઝુંબેશ માટેના નારાઓથી સંદેશ આપતા રહ્યાં. રસ્તામાં અનેક સ્થાનો પર બાળકોએ નાટિકા દ્વારા પર્યાવરણ બચાવનો સંદેશ આપ્યો. શહેરના મહત્વના માર્ગો પર આ યાત્રા પસાર થઈ. જેમાં માલપુર રોડ- કલ્યાણ ચોક- રત્નદીપ સોસાયટી- ડીપી રોડ- પાવનસીટી થઈ મેઘરજ રોડ ઉમિયા મંદિરે સમાપન કરવામાં આવ્યું. રસ્તામાં આવતા મહાદેવ મંદિરમાં તેમજ છેલ્લે ઉમિયા મંદિર સંકુલમાં મહાદેવજીને ગંગાજલથી જલાભિષેક કરવામાં આવ્યો. રસ્તામાં આમજનતાને તરુપ્રસાદ રુપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. સમાપનમાં છેલ્લે “મારું ઘર – મારું વૃક્ષ” અભિયાનમાં વૃક્ષ ઉછેરમાં વિશેષ સહયોગ કરનાર “ગ્રીન યોદ્ધા” ઓનું સ્મૃતિ ચિન્હથી સન્માન કરવામાં આવ્યું.આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો સહિત અનેક ગાયત્રી સાધકો તેમજ આમ જનતા જોડાયા.