Rajkot: ‘હર ઘર તિરંગા અભિયાન’: રાજકોટ જિલ્લાની ૧૫૨૧ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો ઉત્સાહભેર જોડાયા
તા.૧૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પોર્ટલ પર વિવિધ પ્રવૃત્તિઓના ૫૬૦૦થી વધુ ફોટોગ્રાફ અપલોડ કરાયા
Rajkot: હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં આજદિન સુધીમાં સરકારી, ખાનગી, પ્રાથમિક તથા માધ્યમિક મળીને ૧૫૨૧ શાળાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે અને પોર્ટલ પર અત્યાર સુધીમાં ૫૬૨૬ ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવ્યા છે.
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજ સુધીમાં જિલ્લામાં ધોરાજી તાલુકાની ૧૩૧ શાળાઓ, ગોંડલ તાલુકાની ૨૧૩, જામકંડોરણા તાલુકાની ૭૭, જસદણ તાલુકાની ૨૦૬, જેતપુર તાલુકાની ૧૫૨, કોટડા સાંગાણી તાલુકાની ૬૯, લોધિકા તાલુકાની ૯૨, પડધરી તાલુકાની ૧૨૮, રાજકોટ તાલુકાની ૧૬૮, ઉપલેટા તાલુકાની ૧૪૭, વિંછિયા તાલુકાની ૧૩૮ શાળાઓએ નોંધણી કરાવી છે.
અભિયાન અંતર્ગત શાળાઓમાં બાળકો માટે તિરંગા ક્વીઝ યોજવામાં આવી હતી. દરમિયાન બાળકોએ શાળાઓમાં તિરંગાની થીમ પર સુશોભનો પણ કર્યા હતા. શાળાઓ દ્વારા ‘હર ઘર તિરંગાઃ હર ઘર સ્વચ્છતા’ના સંદેશ સાથે તિરંગા રેલી પણ યોજવામાં આવી હતી. માર્ગો પર નીકળેલી રેલીમાં નાગરિકો પણ જોડાયા હતા અને રેલીએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.