વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચીકટિયા,વાંગણ,સતી જેવા ગામોમાં ગત અઠવાડિયામાં આભ ફાટયુ હતુ. જેના પગલે ખાપરી નદીનાં વિનાશક પુર આવ્યુ હતુ.ખાપરી નદીમાં ગત અઠવાડિયે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના લીધે મધ્યરાત્રીએ ભયાનક પુર આવતા લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી,ગાય ભેંસ સહિત પશુધન તણાય ગયેલ અને જાનહાની પણ થયેલ હતી.આ બાબતે ઘટનાસ્થળે પરિસ્થિતિનો કયાસ મેળવવા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાની આગેવાનીમાં ડાંગમાં ખુબ જ લોકપ્રિય વરિષ્ઠ તબિબ ડો.એજી.પટેલ,નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ પટેલ,ભાવિક,પ્રદીપભાઈ નિવૃત આચાર્ય,રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર કૌશિક જાદવ,કિરણ બાગુલ સાથે મળીને પહોંચ્યા હતા.સરપંચ રવિન્દ્રભાઈ ભીવસેન અને મધુભાઈ ભોયેનાઓને સાથે રાખી સમસ્ત આદિવાસી સમાજની ટીમના સભ્યોએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી.અહી મહેશભાઈ વાઘેરા નામના ખેડૂતની ઘણી ગાય ભેંસ તણાયને મરણ પામી હતી.તેમજ ઘણા પરિવારોના ઘરોમાં પાણી ભરાય જતા ઘરો જમીનદોસ્ત થયા હતા અને હનુમાન મંદિરનો શેડ પણ સંપૂર્ણ નષ્ટ થયો હતો.તેવા પરિવારોને તાડપત્રી,ધાબળા,થાળી-વાટકી-ચમચીની સહાય પૂરી પાડેલ હતી.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યુ હતું કે અમે ઘણી જગ્યાઓની મુલાકાત લીધી તેમાં અમુક જગ્યાએ રસ્તાઓ પૂરતા નહીં હોવાથી મોટી ગાડીઓ જઈ શકે તેમ નથી.તેવી જગ્યાએ લાંબુ અંતર કાપી ત્યાં જઈને પીડિતો સાથે મુલાકાત કરતા પરિવારજનોએ આટલા લાંબા સમયથી હજુસુધી કોઈપણ સરકારી સહાય નહીં મળ્યાનું દુઃખ વ્યક્ત કર્યું હતુ.આ બાબતે ડાંગ કલેકટરને અમારી અપીલ છે કે પૂરપીડિત પરિવારોને ઇમરજન્સી રિલીફ ફંડમાંથી તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે જેનાથી તેઓની જિંદગી ફરીથી પાટે ચડી શકે.તેમજ કુદરતી નૈસર્ગીક સંપદાઓથી ભરપૂર ડાંગમાં જો યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો દરેક ગામમાંથી સરિતાબેન ગાયકવાડ અને મુરલીભાઇ ગાંવિત જેવા આંતરરાષ્ટ્રીય કક્ષાના એથલેટ્સ પેદા થઇ શકે એમ છે જેઓ ભવિષ્યમાં દેશનું નામ દુનિયામાં રોશન કરી શકે છે તો એ દિશામાં સઘન પ્રયાસો હાથ ધરવા જોઈએ..