પ્રધાનમંત્રી 15 નવેમ્બરે ડેડીયાપાડાની મુલાકાતે: ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આયોજન અંગે અધિકારીઓ સાથે બેઠક કરી


સમીર પટેલ, ભરૂચ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે યોજાનાર જનજાતિ ગૌરવ દિવસના ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહેશે.આ અવસરે તેઓ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને આદિવાસી સમાજના વિશાળ જનસમૂહને સંબોધિત કરશે. આ કાર્યક્રમનો હેતુ ભારતના ઇતિહાસ અને વિકાસમાં આદિવાસી સમુદાયોના યોગદાનને સન્માનિત કરવાનો છે. પ્રધાનમંત્રીની આ મુલાકાતને લઈ સમગ્ર કાર્યક્રમની તૈયારીઓ તડામાર શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર,પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.તેમણે કાર્યક્રમના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપ મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગોને કાર્યક્રમ દરમિયાન આવશ્યક સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને લોકસભાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સંકલન સાથે કામગીરી કરવા સૂચના આપી હતી.




