
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
નખત્રાણામાં ભક્તિ અને જીવદયાનો ત્રિવેણી સંગમ; મા આશાપુરા નગર મહિલા મંડળની સરાહનીય પહેલ
નખત્રાણા,તા.3: કચ્છની ધરતી હંમેશા તેના સેવાકીય કાર્યો અને જીવદયા માટે વિશ્વભરમાં જાણીતી છે. આ પરંપરાને આગળ ધપાવતા નખત્રાણા મધ્યે આવેલ જીલ સોસાયટીના ‘મા આશાપુરા નગર મહિલા મંડળ’ દ્વારા અબોલ જીવોની સેવા માટે એક અનોખી અને પ્રશંસનીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે જે આજે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
શાસ્ત્રીજી દિલીપ મહારાજના જણાવ્યા અનુસાર આ મહિલા મંડળની બહેનો દરરોજ એકત્રિત થઈને નિયમિતપણે અબોલ જીવો માટે શુદ્ધ અને પૌષ્ટિક ભોજન તૈયાર કરે છે. જેમાં ખાસ કરીને ગાયો માટે પૌષ્ટિક શિરો અને શ્વાન (કુતરા) માટે લાડુ તથા રોટલા બનાવીને પીરસવામાં આવે છે. આ સેવા કાર્યની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માત્ર શારીરિક સેવા જ નહીં પરંતુ ભક્તિનો પણ અદભૂત સંગમ જોવા મળે છે. ભોજન બનાવતી વખતે મહિલાઓ દ્વારા પરંપરાગત કીર્તનો ગવાય છે અને ભક્તિભાવ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવીને વાતાવરણને પવિત્ર બનાવવામાં આવે છે.
આ સેવાયજ્ઞની અન્ય એક પ્રેરણાદાયી બાબત તેની સંગઠિત શક્તિ છે. આ કાર્યમાં કોઈ એક જ જ્ઞાતિ કે ચોક્કસ વર્ગ નહીં પરંતુ દરેક સમાજની બહેનો ખભેખભા મિલાવીને નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહી છે. સર્વધર્મ સમભાવ અને જીવદયાના આ કાર્યને ગ્રામજનો અને અગ્રણીઓ દ્વારા હૃદયપૂર્વક બિરદાવવામાં આવી રહ્યું છે. શાસ્ત્રી દિલીપ મહારાજે પણ મહિલા મંડળની આ ઉમદા કામગીરીને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ભક્તિ સાથે કરવામાં આવતી આ જીવદયાની પ્રવૃત્તિ સમાજ માટે એક દિશાશૂચક ઉદાહરણ છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




