
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ખાતે આવેલ તેજસ્વીની સંસ્કૃતિધામમાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય, દિવ્ય અને અનોખી પરંપરાથી ઉજવણી કરવામાં આવી હતી.મહાશિવરાત્રી એટલે દરેક જીવને સ્વયંને ઓળખવા માટેની રાત્રી-આ ભાવને કેન્દ્રમાં રાખી ત્રિદિવસીય સાધનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.બ્રહ્મવાદિની પરમ પૂજ્ય હેતલ દીદી ના મતે, જો દરેક જીવ સાદગી, સરળતા, સમતા અને સમજપૂર્વક સત્ય-સનાતનના માર્ગે સાધના કરે, તો મહાશિવરાત્રી એક એવો મહાન પર્વ છે કે જેમાં માત્ર એક જ રાત્રિમાં જીવ શિવત્વને પામી શકે છે. આ આધ્યાત્મિક માન્યતાને આધારે દર વર્ષે તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણામાં મહાશિવરાત્રી પર્વ વિશિષ્ટ પરંપરા સાથે ઉજવવામાં આવે છે.આ વર્ષે પણ આચાર્ય કેતન દાદાના સાનિધ્યમાં નવ વૈદિક ઋચાઓમાં પારંગત ભૂદેવો દ્વારા નવચંડી યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ, પાઠાત્મક વેદ ઋચાઓ તથા ભગવાન શિવની વિવિધ સ્તુતિઓનું ગાન કરવામાં આવ્યુ હતુ.પાર્થિવ શિવલિંગોની સ્થાપના સાથે સમગ્ર વાતાવરણ શિવતત્ત્વથી ગુંજાયમાન બની ઊઠ્યું હતુ.રાત્રિના વિવિધ પ્રહરો દરમિયાન પરમ પૂજ્ય હેતલ દીદી દ્વારા ધ્યાનાત્મક શરીર અને આંતરિક ઊર્જા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. યોગ દ્વારા શિવત્વ પ્રાપ્ત કરવા માટે કુંડલિની જાગરણના વિશેષ પ્રયોગો સવારે ચાર વાગ્યા સુધી કરાવવામાં આવ્યા, જેમાં ઉપસ્થિત સાધકો ખૂબ જ ભાવવિભોર બન્યા હતા.આત્મસાક્ષાત્કારની અનુભૂતિ સાથે ભાગ લેનાર સૌએ પોતાની જાતને પામ્યાનો અહેસાસ કરી ધન્યતા અનુભવી હતી.આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે ધનસુખભાઈ, ચેતનભાઈ, બેલા બહેન, જતીનભાઈ, વિશાલભાઈ, અલ્પેશભાઈ, ઋત્વિકભાઈ તથા જયભાઈએ ખૂબ જહેમત ઉઠાવી અને સેવાભાવપૂર્વક સહકાર આપ્યો હતો..





