DHROL- ધ્રોલના આજકાલના પત્રકાર રાજભાને ત્યાં આઈ શ્રી વાલબાઈ જગદંબા પધારતા મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા

DHROL- ધ્રોલના આજકાલના પત્રકાર રાજભાને ત્યાં આઈ શ્રી વાલબાઈ જગદંબા પધારતા મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા ઉમટી પડ્યા
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આજે ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. જામજોધપુર તાલુકાના નારીયેરી નેસડાના સુપ્રસિદ્ધ અને શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન આઈ શ્રી વાલબાઈ જગદંબા ધ્રોલના ગોકુલ વિસ્તારમાં પધારતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ગોકુલ સોસાયટીમાં રહેતા આજકાલના પત્રકાર શ્રી રાજભા ના નિવાસસ્થાને માતાજીના પાવન પગલાં થતા વાતાવરણ મંગલમય બની ગયું હતું.
આઈ માં નું આગમન થતા જ ભક્તો દ્વારા તેમનું અત્યંત ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. લાલ વસ્ત્રોમાં સજ્જ આઈ માં કારમાંથી ઉતર્યા ત્યારે શ્રદ્ધાળુઓએ પુષ્પવર્ષા કરી હતી. સોસાયટીના માર્ગો પરથી પસાર થઈને માતાજી જ્યારે નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે કુમકુમ પગલાં પાડીને તેમને ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત મહિલાઓ, પુરુષો અને નાના બાળકોએ લાઈનમાં ઊભા રહી માતાજીના ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી.
માતાજી પધાર્યા હોવાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાંથી દર્શન માટે ઉમટી પડ્યા હતા. ઘરના આંગણે અને અંદર પણ માતાજીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભક્તોના મુખેથી નીકળતા “આઈ શ્રી વાલબાઈ માત કી જય” ના નાદથી સમગ્ર ગોકુલ સોસાયટી ગુંજી ઉઠી હતી. આઈ માં એ પણ ખૂબ જ પ્રસન્નતા પૂર્વક તમામ નાના-મોટા ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ ધાર્મિક મુલાકાત દરમિયાન આઈ માં એ એક વિશેષ જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નારિયેરી ગામ ખાતે આગામી તા. ૨૪/૦૩/૨૦૨૬ ના રોજ પિતૃઓના મોક્ષાર્થે એક ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે તમામ શ્રદ્ધાળુઓને સહપરિવાર પધારવા માટે માતાજીએ રૂબરૂમાં હાર્દિક જાહેર આમંત્રણ પાઠવ્યું હતું.આજકાલના પત્રકાર શ્રી રાજભાના આંગણે યોજાયેલા આ પાવન પ્રસંગથી સોસાયટીના રહીશોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.










