આગામી બોર્ડની પરીક્ષાને લઈને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*

*આગામી બોર્ડની પરીક્ષાને લઈને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું*
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
*પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં વિવિધ પ્રતિબંધો લાગુ રહેશે*
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ થી તા.૧૮/૦૩/૨૦૨૬ દરમિયાન યોજાનારી એસ.એસ.સી. અને એચ.એસ.સી. (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિહિર પટેલ (IAS) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ મળેલ સત્તાની રૂએ, જિલ્લાના તમામ નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
આ જાહેરનામા મુજબ, પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થીઓ અને અધિકૃત સ્ટાફ સિવાયના અન્ય બિન- અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન આ વિસ્તારમાં આવેલી તમામ ઝેરોક્ષની દુકાનો ફરજિયાતપણે બંધ રાખવાની રહેશે. વધુમાં, પરીક્ષામાં અવરોધ ઊભો કરે તેવા લાઉડસ્પીકરના ઉપયોગ પર અને પરીક્ષાર્થીઓનું ધ્યાન ભંગ થાય તેવી પ્રવૃત્તિઓ પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
પરીક્ષામાં ચોરી અટકાવવા માટેના કડક પગલાં લેતા, કોઈપણ પ્રકારનું સાહિત્ય, નકલ, પુસ્તકો કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, પેજર કે વોકી-ટોકીના ઉપયોગ અને વહન પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ આદેશનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કાયદેસરની કાર્યવાહી અને શિક્ષા કરવામાં આવશે. પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીઓ તેમજ પરીક્ષા સંચાલન સાથે જોડાયેલા તમામ સ્ટાફને આ અંગે ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.




