
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : રતનપુર હાઈવે પર માલભરેલ ટ્રકમાં આગ: શામળાજી ખાતે ફાયર સ્ટેશનની માંગ ઉઠી
અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં રતનપુર નજીક નેશનલ હાઈવે પર માલભરેલ ટ્રક-ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા હાઇવે પર થોડા સમય માટે અફરાતફરી મચી હતી. ધમધમતા માર્ગ પર અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક એક સાઈડનો ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
આગ પર કાબૂ મેળવવા માટે મોડાસાથી ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી, જેના કારણે આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી. જોકે, ફાયર બ્રિગેડને પહોંચવામાં લાગેલા સમયને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ તો મેળવાયો, પરંતુ ટ્રકમાં ભરેલ સામાનને નુકસાન પહોંચ્યું હતુંઆ ઘટનાને પગલે શામળાજી તથા આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓએ નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગને ધ્યાનમાં રાખીને શામળાજી ખાતે જ ફાયર સ્ટેશનની તાત્કાલિક સુવિધા ઉભી કરવાની માંગ ઉઠાવી છે. લોકમાગ મુજબ, નજીકમાં ફાયર સુવિધા ઉપલબ્ધ હોય તો આવી આપત્તિજનક પરિસ્થિતિમાં તરત જ આગ પર કાબૂ મેળવી મોટું નુકસાન ટાળી શકાય.





