
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને ન.કૃ.યુ. ના કુલપતિશ્રીની સુચના અનુસાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે આત્મા પ્રોજેક્ટ, ડાંગ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ના સંયુક્ત ઉપક્રમે ૩ દિવસીય પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં કૃષિ સખી અને CRP ઓએ ભાગ લીધો. તથા તાલીમ અંતર્ગત કૃષિ સખી અને CRP પ્રાકૃતિક કૃષિની વિગતવાર માહિતી આપવામાં આવી તેમજ તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ ના ડૉ. જે. બી. ડોબરીયા, ડૉ. પ્રતિક જાવિયા, ડૉ. હર્ષદ પ્રજાપતિ, ડૉ. બીપીનચંદ્ર વહુનીયા તથા આત્મા પ્રોજેક્ટ, ડાંગ ના પ્રોજેક્ટ ડાયરેક્ટ શ્રી સંજય ભગરીયા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં નિદર્શન પધ્ધતિ દ્વારા દરેક કૃષિ સખી અને CRP ને જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર, દશપર્ણીઅર્ક, આચ્છાદન, વાપસા અને મિશ્રપાકની ઉંડી સમજણ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં તમામ કૃષિ સખી અને CRP પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું તેમજ તમામ સાથે મૌખિક પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી. આ કાર્યક્રમમાં ૭૦ થી વધુ કૃષિ સખી અને CRP એ ભાગ લીધો હતો.





