વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી. ડી.ગોંડલીયાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત હોસ્ટેલમાંથી ગુમ થયેલી બે સગીર બાળાઓને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવવામાં આવ્યો છે.સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોસ્ટેલમાં ધોરણ-૯ માં અભ્યાસ કરતી બે દીકરીઓ કોઈને પણ કહ્યા વિના હોસ્ટેલમાંથી નીકળી ગઈ હતી. આ બાબતની જાણ હોસ્ટેલના ગૃહ માતાએ પોલીસ સ્ટેશનમાં આવીને કરી હતી. સગા-સંબંધીઓ અને નજીકના ગામોમાં તપાસ કરવા છતાં દીકરીઓનો કોઈ પતો લાગ્યો ન હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સાપુતારા પોલીસ દ્વારા તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરતા બંને બાળાઓ સાપુતારાના રોઝ ગાર્ડન ખાતેથી મળી આવી હતી.પોલીસ દ્વારા બંને દીકરીઓને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. શી-ટીમ દ્વારા તેમના માતા-પિતાની હાજરીમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દીકરીઓને હોસ્ટેલમાં રહેવું ગમતું ન હોવાથી તેઓ કોઈને જણાવ્યા વગર ત્યાંથી નીકળી ગઈ હતી.પોલીસ દ્વારા દીકરીઓનું યોગ્ય કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને તેમના માતા-પિતાને સોંપી સુખદ મિલાપ કરાવ્યો હતો. સાપુતારા પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો..




