
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રકૃતિની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાનાં વાસુર્ણા ગામે ચૈત્ર નવરાત્રિનાં પાવન પ્રસંગે આધ્યાત્મિકતા અને માનવતાવાદી સેવાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. ગુડીપડવાના શુભ મુહૂર્તે તેજસ્વિની સંસ્કૃતિધામ ખાતે બ્રહ્મવાદિની પૂજ્ય હેતલ દીદી દ્વારા વિશેષ ‘મૌન અનુષ્ઠાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અનુષ્ઠાનની વિશેષતા એ છે કે, નવ દિવસ સુધી પૂર્ણ મૌન પાળીને ઈશ્વર આરાધના સાથે જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. સુરત ગૌશાળા મંડળના સહયોગથી કીડી જેવા સૂક્ષ્મ જીવોના સંરક્ષણ માટે ‘કિડીયારું’ પૂરવાના સેવાયજ્ઞનો પણ શુભારંભ થયો છે.દરરોજ વહેલી સવારે નિશ્ચિત સ્થળોએ આશરે 200 કિલો બાજરીનો લોટ, 100 કિલો બૂરુંખાંડ, 10 કિલો ઘી, કોપરું અને બિસ્કિટના મિશ્રણ દ્વારા કીડીઓ તથા અન્ય અબોલ જીવ માટે અન્ન અર્પણ કરવામાં આવે છે. ઉપરાંત જંગલ વિસ્તારમાં શ્રીફળ મૂકી ચોમાસા સુધી જીવસૃષ્ટિ માટે આહારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.પૂજ્ય હેતલ દીદી દ્વારા યોગ, ધ્યાન અને સત્સંગ મારફતે ભક્તિ અને જીવદયાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન શક્તિ ઉપાસના સાથે મૌન વ્રતને આત્મશુદ્ધિની કઠિન સાધના માનવામાં આવે છે, જેનું જીવંત ઉદાહરણ અહીં જોવા મળી રહ્યું છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિનેશભાઈ, અમૃતભાઈ, ધનસુખભાઈ તથા તેજસ્વિની સંસ્કૃતિ પરિવારના સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.અહી નવ દિવસનું અખંડ મૌન અનુષ્ઠાન ‘કિડીયારું’ સેવા દ્વારા જીવદયા યજ્ઞ યોગ, ધ્યાન અને સત્સંગ દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.સાથે પ્રકૃતિના મધ્યમાં આધ્યાત્મિક અનુભવ જે આ અનોખું અનુષ્ઠાન “જીવ સેવા એ જ પ્રભુ સેવા” ના મહામંત્રને સાકાર કરવાની સાથે આધ્યાત્મિકતા અને માનવતાનો પ્રેરણાદાયી સંદેશ ફેલાવી રહ્યું છે..





