ભરૂચમાં ઈદ-ઉલ-ફિત્રની શાંતિપૂર્ણ ઉજવણી: હજારો મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી




સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર અને જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમજાન માસમાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી આજે શનિવારે ઈદ-ઉલ-ફિત્રનો પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી.વહેલી સવારે બિરાદરોએ શહેરના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકત્ર થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી.નમાઝ બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી.
શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાતાની સાથે જ શહેરના બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી હતી.મુસ્લિમ સમાજના લોકોએ ચાંદના દીદાર કર્યા બાદ એકબીજાને “ચાંદ મુબારક” કહી શુભેચ્છાઓ પાઠવી હતી.ત્યારબાદ શનિવારે ઈદનો તહેવાર ઉજવાયો હતો.
ઈદના દિવસે નાના થી લઈને વડીલોએ નવા વસ્ત્રો પરિધાન કરી મસ્જિદોમાં જઈ નમાઝ અદા કરી અને દેશ-વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે દુઆ માંગી હતી. ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં પણ મોટી સંખ્યામાં નમાજ અદા કરવામાં આવી હતી.
નમાઝ બાદ લોકો પોતાના સગા-સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત કરી દૂધ સેવૈયા સહિતની પરંપરાગત મીઠાઈઓનો આસ્વાદ લીધો હતો. સમગ્ર જિલ્લામાં ઈદનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
ઈદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.



