ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ કહેવાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો

અમેરિકા-ઈઝરાયલે યુદ્ધના આજે 22માં દિવસે ઈરાન પર બોંબમારો કરીને ભયંકર તબાહી મચાવી છે. રિપોર્ટ મુજબ ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ કહેવાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો છે, જેના કારણે આખા વિસ્તારમાં ઉથલપાથલ મચી ગઈ છે અને તાત્કાલીક ઈરાની અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.
ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂર દૂરના વિસ્તાર સુધી સંભળાયો છે. ઘટનાસ્થળે દોડી આવેલા ઈરાની અધિકારીઓએ તાત્કાલીક તપાસ શરૂ કરી દીધી છે, જેમાં કોઈપણ પ્રકારનું રેડિએશન ફેલાયું ન હોવાની પુષ્ટિ થતાં મોટી રાહત થઈ છે. એટલે કે પરમાણુ કચરો ફેલાવાનો જે ડર હતો તે ટળી ગયો છે.
ઈરાને દાવો કર્યો છે કે, વિસ્ફોટ છતાં આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેનારા લોકો સંપૂર્ણ સુરક્ષિત છે. આ હુમલો અમેરિકા-ઈઝરાયલ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ કરાયો હોવાનો ઈરાની સરકારે દાવો કર્યો છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાના અને નષ્ટ કરવાના ઇરાદાથી આ બોંબમારો કરાયો છે.
દુશ્મન દેશો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટને વારંવાર ટાર્ગેટ કરી રહ્યા છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં પ્લાન્ટ પર અનેક વાર હુમલા કરવામાં આવ્યા છે. દર વખતે તેના માળખા અને મશીનોનો નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. જોકે રાહતની વાત એ છે કે, હુમલાઓ છતાં પર્યાવરણને કોઈ મોટું નુકસાન થયું નથી.




