દિવ્યાંગ શિક્ષિકાનો રાષ્ટ્રીય ફલક પર વિજયધ્વજ.એક વર્ષના બાળકની માતા અને દિવ્યાંગ શિક્ષિકા આલિયા ખાને ઓડિશામાં જીત્યો બ્રોન્ઝ મેડલ.

તારીખ ૨૪/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
“મન હોય તો માળવે જવાય” – આ કહેવતને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની દરુણિયા સરકારી માધ્યમિક શાળાના દિવ્યાંગ શિક્ષિકા આલિયા ખાને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી ૨૪મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધા ૨૦૨૬માં ગોળાફેંક (Shot Put) સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને તેમણે સાબિત કરી દીધું છે કે જો મનમાં અડગ વિશ્વાસ હોય, તો શારીરિક ખામી ક્યારેય સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી.આલિયા ખાનની આ સિદ્ધિ પાછળ એક એવો સંઘર્ષ છુપાયેલો છે જે કોઈપણ વ્યક્તિને પ્રેરણા આપી શકે છે. એક હાથે દિવ્યાંગ હોવા છતાં, તેમણે ક્યારેય પોતાની જાતને નબળી પડવા દીધી નથી. તેમની આ સફરની સૌથી વિશેષ વાત એ છે કે, તેઓ બે બાળકોની માતા છે અને તેમાંનું એક સંતાન તો હજુ એક વર્ષથી પણ નાનું છે. નાના બાળકની જવાબદારી, ઘરકામ અને શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવવાની સાથે મેદાન પર પરસેવો પાડીને પ્રેક્ટિસ કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કાર્ય છે. તેમ છતાં, પોતાની ધગશ અને મહેનતના જોરે તેમણે નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું અને મેડલ જીત્યો.અત્રે ઉલ્લેખનીય છે કે,આલિયાબેન માત્ર મેદાન પર જ નહિ, પણ વર્ગખંડમાં પણ એક આદર્શ શિક્ષક છે. તેઓ શાળાના બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નથી આપતા, પરંતુ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને જોશપૂર્વક ભાગ લેવા માટે માર્ગદર્શન પણ પૂરું પાડે છે. તેમની આ રમતગમત પ્રત્યેની રુચિને કારણે જ આજે તેઓ ૬ (છ) નેશનલ મેડલ્સ પોતાના નામે કરી ચૂક્યા છે. ગુજરાતના ખેલ મહાકુંભમાં પણ તેમની સિદ્ધિઓનો લાંબો ઈતિહાસ રહ્યો છે.ભુવનેશ્વરની ધરતી પર જ્યારે આલિયા ખાનના હાથમાં બ્રોન્ઝ મેડલ આવ્યો, ત્યારે તે માત્ર એક ખેલાડીની જીત નહોતી, પણ દરેક તે વ્યક્તિની જીત હતી જે મુશ્કેલીઓ સામે હાર માની લે છે. તેમની આ સિદ્ધિ બદલ જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ અને શાળાના આચાર્ય આસિફ મન્સૂરીએ તેમને બિરદાવ્યા છે.આલિયા ખાનની આ સફળતા સમાજને સંદેશ આપે છે કે,”તમારી શારીરિક સ્થિતિ કે પારિવારિક જવાબદારીઓ તમારા સપનાઓ વચ્ચે ક્યારેય આડખીલી બની શકતી નથી, જો તમારી પાસે હિંમત અને મહેનત કરવાનું ઝનૂન હોય.”આમ, આલિયા ખાન આજની યુવા જરેશન માટે એક જીવંત ઉદાહરણ બની ગયા છે કે કેવી રીતે મર્યાદાઓને તોડીને સફળતાના શિખરો સર કરી શકાય છે.







