
ફૈઝ ખત્રી…શિનોર
વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે જતા ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ડભોઈ ડેપો દ્વારા ડભોઈ-શિનોર-સાધલી-વડતાલ રૂટ પર નવી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે.
આ બસ ડભોઈથી સવારે 7:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને શિનોર પહોંચ્યા બાદ સવારે 7:45 વાગ્યે વડતાલ જવા માટે આગળ વધશે. સાધલી બસ સ્ટેન્ડ પર આ બસ સવારે 8:00 વાગ્યે પહોંચશે. ત્યારબાદ બસ કાયાવરોહણ, પોર, કિતિઁ, વડોદરા, વાસદ, આણંદ અને બાકરોલ થઈને વડતાલ પહોંચશે.
ખાસ વાત એ છે કે બસ વડતાલમાં આશરે બે કલાક સુધી રોકાશે, જેથી ભક્તો આરામથી દર્શન કરી શકે. ત્યારબાદ બસ એ જ રૂટ પરથી પરત ફરશે.
સાધલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ તેમજ રેલ એન્ડ રોડ પેસેન્જર એસોશીએશન પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા શ્રીફળ વધેરી પેંડા ખવડાવી બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ નવી સેવા શરૂ થવાથી વડતાલ જતા ભક્તો અને મુસાફરોને ખૂબ જ સુવિધા મળશે. ડભોઈ ડેપો દ્વારા તમામ ભક્તોને આ સેવા નો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.




