
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર ખાતે “રામ નવમી”નાં પર્વ પર શરમજનક નિષ્ક્રિયતા:-ભાવિકોમાં ઉગ્ર રોષ,સંસ્થા-તંત્રની બેદરકારી સામે સવાલો..
ભગવાન રામનાં નામે રાજકારણ કરીને સત્તા મેળવતી સરકાર પણ આ ગંભીર મુદ્દે મૌન વ્રત ધારણ કરી લેતા લાખો ભક્તોમાં નારાજગીનું સૂર…
દંડકારણ્યનાં ઘનઘોર જંગલો વચ્ચે વસેલા ડાંગ જિલ્લાનાં પવિત્ર એવા શબરીધામ સુબિર ખાતે આ વર્ષે રામ નવમીનાં પાવન પર્વનાં અવસરે અચંબિત કરી દે તેવી નિષ્ક્રિયતા સામે આવી છે.જ્યા દર વર્ષે ભક્તિ, શ્રદ્ધા અને ઉમંગનો અખૂટ પ્રવાહ વહેતો હોય છે, ત્યા આ વખતે રામ નવમીનાં પાવન અવસરે ધામ સુમસામ અને નિર્જન દેખાતા ભાવિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.સ્થાનિકો અને રામભક્તો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે શબરીધામ સમિતિએ રામ નવમી જેવા અતિ મહત્વપૂર્ણ તહેવાર નિમિત્તે કોઈ સત્તાવાર કાર્યક્રમનું આયોજન જ કર્યું નથી.આ માત્ર એક સામાન્ય બેદરકારી નહી, પરંતુ ઐતિહાસિક અને ધાર્મિક પરંપરાઓ પ્રત્યેની સ્પષ્ટ ઉદાસીનતા દર્શાવે છે.ભગવાન શ્રી રામ અને ભીલ માતા શબરીના પવિત્ર મિલનથી પાવન બનેલી આ ભૂમિ પર આવા તહેવારની અવગણના થવી એ લાખો ભાવિકોની લાગણીઓ સાથે ખુલ્લેઆમ છેડછાડ સમાન છે.ચોંકાવનારી બાબત એ છે કે ભગવાન રામનાં નામે રાજકારણ કરીને સત્તા મેળવતી સરકાર પણ આ ગંભીર મુદ્દે મૌન વ્રત ધારણ કરી રહી છે.દેશનાં મોટા મંચો પર ભગવાન શ્રીરામના આદર્શોનું ગાન કરનાર શાસકો માટે શું ડાંગનાં શબરીધામનું કોઈ મહત્વ જ નથી? શું માત્ર મતલાભ માટે જ ભગવાન રામના નામનો ઉપયોગ કરવામાં આવે છે? આવા કડવા અને તીખા સવાલો હવે ડાંગ જિલ્લાનાં જનમાનસમાં ઉઠવા લાગ્યા છે.રામ નવમીના પાવન દિવસે જ્યારે સમગ્ર દેશ ભક્તિ અને ઉત્સાહમાં તરબોળ હોય છે, ત્યારે ડાંગ જિલ્લાનાં શબરીધામ જેવી ઐતિહાસિક અને ધાર્મિક ધરતી પર ઉજવણીનો અભાવ માત્ર નિરાશાજનક જ નહીં, પરંતુ અત્યંત ચિંતાજનક છે. આ ઘટના સંસ્કૃતિ અને શ્રદ્ધા પ્રત્યેની જવાબદારીમાંથી ભાગવાનું સ્પષ્ટ ઉદાહરણ બની રહી છે.હવે સમય આવી ગયો છે કે શબરીધામ સંસ્થા અને સંબંધિત તંત્ર તાત્કાલિક જાહેરમાં સ્પષ્ટતા આપે અને આ બેદરકારી માટે જવાબદાર લોકો સામે કડક પગલા ભરે તેવી માંગ ઉઠી છે. અન્યથા, આવનારા સમયમાં શબરીધામ સાથે જોડાયેલી ભાવિકોની આસ્થા અને વિશ્વાસ પર ગંભીર અસર પડશે, જેના પરિણામો દૂરગામી અને ઘાતક સાબિત થઈ શકે છે..





