1 એપ્રિલથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન કે UPI માટે ઓછામાં ઓછી બે પદ્ધતિઓથી ઓથેન્ટિકેશન કરવું પડશે.

મોલ હોય કે સ્થાનિક દુકાન અત્યારે મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અથવા UPIનો ઉપયોગ કરે છે. હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનને લઈને એક મોટો નિયમ બદલાવા જઈ રહ્યો છે. ભારતીય રિઝર્વ બૅંક(RBI)ના આદેશ બાદ હવે બૅંકોએ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) લાગુ કરવું પડશે. સપ્ટેમ્બર 2025માં જાહેર કરાયેલા આ આદેશ માટે 1 એપ્રિલ 2026ની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે.
1 એપ્રિલ 2026 પછી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે માત્ર વન ટાઇમ પાસવર્ડ (OTP) પર નિર્ભર રહેવું પૂરતું નહીં હોય. તમામ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછા બે અલગ અને સ્વતંત્ર વેરિફિકેશન ફેક્ટરથી વેરિફાય કરવું પડશે. ઉલ્લેખનીય છે કે ક્રેડિટ કાર્ડમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન પહેલાથી જ અમલમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે આ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનશે.
ધારો કે તમે કોઈ દુકાનેથી સામાન ખરીદ્યો અને ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કર્યું. જેવું સેલ્સ પર્સન પોઇન્ટ ઑફ સેલ (POS) મશીન પર કાર્ડ સ્વાઇપ કરશે, ત્યારબાદ યુઝરે પિન (PIN) એન્ટર કરવાની સાથે હવે OTP પણ આપવો પડશે. આમ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને બે રીતે ઓથેન્ટિકેટ કરવું ફરજિયાત બનશે.
1 એપ્રિલ પછી દરેક ટ્રાન્ઝેક્શન માટે ઓછામાં ઓછી બે પદ્ધતિઓથી ઓથેન્ટિકેશન કરવું પડશે. આ પગલાથી સાયબર ઠગાઈ પર અંકુશ આવશે અને અનધિકૃત ટ્રાન્ઝેક્શન અટકશે. સાયબર ઠગાઈના એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં ગઠિયાએ ચાલાકીથી OTP મેળવીને બૅંક ખાતા ખાલી કરી દીધા હતા. ફિશિંગ સ્કેમ અને સિમ સ્કેમ જેવી ઘટનાઓ રોકવા માટે આ નવો નિયમ મહત્ત્વનો સાબિત થશે.
RBIની ગાઇડલાઇનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 1 ઑક્ટોબર 2026 સુધીમાં ઇન્ટરનેશનલ ‘કાર્ડ-નોટ-પ્રેઝન્ટ’ ટ્રાન્ઝેક્શન પર પણ આ જ પ્રકારના ઓથેન્ટિકેશન નિયમો લાગુ કરવામાં આવશે.
UPI અને ઈન્ટરનેટ બેંકિંગના નિયમોમાં એવા મોટા ફેરફારો
1. UPI ટ્રાન્ઝેક્શન પર નવો ‘પ્લેટફોર્મ ચાર્જ’
- મર્યાદા: જે વ્યક્તિ એક મહિનામાં ₹50,000 થી વધુનું UPI ટ્રાન્ઝેક્શન કરશે, તેમણે દરેક વધારાના વ્યવહાર પર નિશ્ચિત રકમ ચૂકવવી પડી શકે છે.
- હેતુ: આનો ઉદ્દેશ્ય બેંકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના બોજને ઘટાડવા અને ડિજિટલ પેમેન્ટ કંપનીઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો છે.
- સરકારી સબસિડી: 1 એપ્રિલ પછી મોટાભાગની સરકારી યોજનાઓ, જેમ કે ગેસ સબસિડી કે ખેડૂત સહાય, સીધી ડિજિટલ વોલેટ (e-RUPI) માં જમા થશે.
- બેંક ખાતાની જરૂરિયાત ઘટશે: ડિજિટલ રૂપિયો સીધો મોબાઈલ વોલેટમાં હોવાથી તેના માટે બેંક સર્વરની જરૂર નહીં પડે, જેથી સર્વર ડાઉન હોવા છતાં પેમેન્ટ થઈ શકશે.
- બાયોમેટ્રિક વેરિફિકેશન: ₹5,000 થી વધુના પેમેન્ટ માટે હવે માત્ર પિન (PIN) પૂરતો નહીં હોય. વપરાશકર્તાએ ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી દ્વારા વેરિફિકેશન કરવું પડશે.
- AI મોનિટરિંગ: બેંકો હવે AI સિસ્ટમનો ઉપયોગ કરશે જે તમારા ખર્ચની પેટર્ન પર નજર રાખશે. જો કોઈ અસામાન્ય વ્યવહાર (દા.ત. અચાનક મોટું પેમેન્ટ) થશે, તો ટ્રાન્ઝેક્શન આપમેળે બ્લોક થઈ જશે અને બેંક તરફથી કન્ફર્મેશન કોલ આવશે.




