MORBI:શોકમગ્ન મોરબી: લોકલાડીલા નેતા કિશોરભાઈ ચિખલિયાની અંતિમ યાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ

MORBI:શોકમગ્ન મોરબી: લોકલાડીલા નેતા કિશોરભાઈ ચિખલિયાની અંતિમ યાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ
મોરબી જિલ્લા રાજકારણના દિગ્ગજ અને નિડર નેતા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાના નિધનથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આજે તેમની અંતિમ યાત્રામાં જે રીતે જનસૈલાબ ઉમટી પડ્યો, તે દ્રશ્યો સાક્ષી પૂરતા હતા કે મોરબીએ માત્ર એક રાજકીય નેતા જ નહીં, પરંતુ એક સાચો લોકસેવક ખોયો છે.
કિશોરભાઈ ચિખલિયા તેમની સ્પષ્ટવક્તા અને નિડર શૈલી માટે જાણીતા હતા. લોકોના પ્રશ્નો માટે હંમેશા અગ્રેસર રહેતા કિશોરભાઈની અંતિમ વિદાય વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું. રાજકીય પક્ષોના ભેદભાવ ભૂલીને વિવિધ ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા જોડાયા હતા.
જીવનની સાચી કમાણી અંતિમ યાત્રામાં ઉમટેલી ભીડ અને લોકોની આંખોમાં રહેલા આંસુ કહી રહ્યા હતા કે આ જ કિશોરભાઈના જીવનની સાચી કમાણી હતી. સત્તા હોય કે ન હોય, હંમેશા લોકોની વચ્ચે રહીને કાર્ય કરવાની તેમની પદ્ધતિએ તેમને જનતાના હૃદયમાં સ્થાન અપાવ્યું હતું.
”આ ભીડ જ સાબિતી છે કે કિશોરભાઈએ લોકોના કામ કરીને જે પ્રેમ કમાયો છે, તે કોઈપણ હોદ્દા કે સંપત્તિ કરતા અનેકગણો મોટો છે.
મોરબીએ આજે એક સાચો અને નિડર અવાજ ગુમાવ્યો છે.” – ઉપસ્થિત નાગરિકોના સૂર રાજકીય જગતમાં મોટી ખોટ
તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે એક મજબૂત સ્તંભ ગુમાવ્યો છે, તો બીજી તરફ મોરબીના સામાજિક અને રાજકીય ક્ષેત્રે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોએ ભારે હૈયે કિશોરભાઈને વિદાય આપી હતી.
મોરબી કોંગ્રેસમાં શોકનું મોજું: પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ કિશોરભાઈ ચિખલીયાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું
મોરબી જિલ્લા કોંગ્રેસના કર્મઠ અગ્રણી કિશોરભાઈ ચિખલીયાના આકસ્મિક નિધનથી સ્થાનિક રાજકારણ અને કોંગ્રેસ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ દુઃખદ અવસરે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ ભાવુક અંજલિ અર્પતા જણાવ્યું હતું કે, કિશોરભાઈના જવાથી કોંગ્રેસ આજે સાચા અર્થમાં ‘નોંધારી’ બની ગઈ છે.’બળિયો’ ઉપનામ અને પાયાની કામગીરી લલિત કગથરાએ કિશોરભાઈના સમર્પણને યાદ કરતા જણાવ્યું કે, તેઓ કોંગ્રેસ માટે એક મજબૂત આધારસ્તંભ સમાન હતા. પક્ષને બેઠું કરવા માટે તેમણે ઘરે-ઘરે જઈને અથાક મહેનત કરી હતી. લોકોમાં તેઓ ‘બળિયો’ ના ઉપનામથી જાણીતા હતા અને પોતાના આ જ મિજાજ સાથે તેમણે પક્ષ માટે અનેક નોંધપાત્ર કાર્યો કર્યા હતા.અચાનક થયેલા આ નિધનના સમાચારથી મોરબી કોંગ્રેસના કાર્યકરો સ્તબ્ધ થઈ ગયા છે. લલિત કગથરાએ ઉમેર્યું હતું કે, “તેમના જવાથી કાર્યકરો પર વજ્રઘાત થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભગવાન કિશોરભાઈના પરિવારના સભ્યોને અને તમામ કાર્યકરોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું.”
શ્રદ્ધાંજલિ :કિશોરભાઈની ખોટ મોરબી જિલ્લા કોંગ્રેસને હંમેશા વર્તાશે. તેમના પક્ષ પ્રત્યેના સમર્પણ અને મહેનતને હંમેશા યાદ રાખવામાં આવશે














