સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પૂર્વે અમદાવાદમાં મતદાર જાગૃતિ અભિયાન તેજ: વિદ્યાર્થીઓએ રેલી, ચિત્રકામ અને સાયકલ યાત્રા દ્વારા ફેલાવ્યો સંદેશ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધારવા માટે વિવિધ સર્જનાત્મક અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમ હેઠળ આયોજિત આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં મતાધિકાર પ્રત્યે જવાબદારી અને સજાગતા વિકસાવવાનો રહ્યો હતો.
તા. 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને ‘સ્વેપ’ (Systematic Voters’ Awareness Plan-SVAP) અંતર્ગત શહેરની વિવિધ શાળાઓમાં ચિત્રકામ, નિબંધ લેખન, વક્તૃત્વ અને સ્લોગન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ‘મારો મત, મારી તાકાત’, ‘શિક્ષિત મતદાતા – સશક્ત લોકશાહી’ અને ‘મતદાન એ અધિકાર નહીં, ફરજ છે’ જેવા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ અભિયાનના ભાગરૂપે ઈસનપુર પબ્લિક સ્કૂલ-1, શારદા ગર્લ્સ સ્કૂલ, એન. વી. તંવર હિન્દી હાઇસ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, કાંકરિયા ગુજરાતી શાળા નંબર 8 અને દેવળિયાપરા પ્રાથમિક શાળા સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉત્સાહભેર કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ રંગબેરંગી ચિત્રો દ્વારા લોકશાહીનું મહત્વ દર્શાવ્યું અને સમાજમાં મતદાન અંગે સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો.
શાળાના આચાર્યો અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શેરીઓમાં રેલીઓ કાઢી, હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ સાથે નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. સાયકલ રેલી દ્વારા પણ પર્યાવરણને અનુકૂળ રીતે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે નાગરિકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ ઉપરાંત શાળાઓમાં ખાસ સેલ્ફી પોઈન્ટ્સ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ‘I Vote for Sure’ જેવા સંદેશ સાથે ફોટોગ્રાફ લઈને સોશિયલ મીડિયામાં શેર કરતા હતા. આ નવીન પહેલ દ્વારા યુવાનોમાં મતદાન પ્રત્યે રસ અને જવાબદારી વધારવાનો પ્રયાસ સફળ રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અભ્યાસમાં કોઈ અવરોધ ન આવે, જેથી તમામ પ્રવૃત્તિઓ સુવ્યવસ્થિત આયોજન સાથે પૂર્ણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ 18 વર્ષની વય પૂર્ણ થયા બાદ અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને પોતાના પરિવાર તથા સમાજના અન્ય સભ્યોને પણ મતદાન માટે પ્રેરિત કરવાની ખાતરી આપી હતી.
આ સમગ્ર અભિયાન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે જાગૃત મતદાતા જ લોકશાહીને મજબૂત બનાવે છે. શિક્ષણ વિભાગના આ પ્રયત્નો દ્વારા શાળાઓને કેન્દ્ર બનાવીને ઘરઆંગણે મતદાન અંગે જાગૃતિ પહોંચાડવાનો સફળ પ્રયાસ થયો છે, જે આવનારી ચૂંટણીમાં વધુ મતદાન નોંધાવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.









