ભરૂચ જેલમાંથી કેદીને 26 વર્ષે મુક્તિ મળી: આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા કાસુ હઠીલા



સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુ ભલાભાઇ હઠીલાને 26 વર્ષ બાદ મુક્ત કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ફરજ દરમિયાન નોંધાયેલા ગુનામાં તેમને સજા થઈ હતી. વર્ષ 1986માં હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ધરમશાળા ખાતે નોંધાયેલા એક કેસમાં એડિશનલ સેશન કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં કેદી નંબર 35355 તરીકે સજા ભોગવી રહ્યા હતા. સરકારી ધોરણો અનુસાર કાસુભાઈ વહેલી મુક્તિ માટે પાત્ર બનતા, ભરૂચ જેલ પ્રશાસન દ્વારા બી.એન.એસ.એસ. કલમ 473 હેઠળ જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેલ અધિક્ષકે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવીને આ મામલો ડીજી પ્રિઝન, શિમલા (હિમાચલ પ્રદેશ) સુધી મોકલ્યો હતો. ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં કાસુભાઈની વહેલી મુક્તિ અંગે સકારાત્મક અભિપ્રાય અપાયો હતો. તેના આધારે હિમાચલ પ્રદેશ સરકારના ગૃહ વિભાગે તેમની બાકી રહેલી સજા માફ કરીને શરતોને આધીન વહેલી મુક્તિનો આદેશ આપ્યો. આદેશ મળ્યા બાદ ભરૂચ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ દ્વારા કાસુભાઈને જેલમુક્ત કરવામાં આવ્યા. જેલ પ્રશાસને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.




