Rajkot: મતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન આપતી રાજકોટ જિલ્લાની મહિલાઓ

તા.૨૨/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
મોટા માત્રાવડ, આટકોટ અને વિંછીયામાં સખી મંડળોએ મતદાનના શપથ લીધા
Rajkot: રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણી અન્વયે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મહિલાઓમાં જાગૃતિ લાવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્વસહાય જૂથની મહિલાઓ પોતે જાગૃત બનીને પરિવાર અને સ્થાનિકોને મતાધિકારના મહત્વ વિશે સમજણ આપવામાં યોગદાન આપી રહી છે.

જામકંડોરણા તાલુકાના મોટા માત્રાવડ ગામે સ્વસહાય જૂથની બહેનોએ રાત્રિના સમયે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં બહેનોએ એકઠા થઈને આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટેના શપથ લીધા હતા. આ સાથે જ જસદણ તાલુકાના આટકોટ ગામે પણ ‘ગ્રામ સખી સંઘ’ની બેઠક મળી હતી, જેમાં સખી મંડળની બહેનોએ લોકશાહીને મજબૂત બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આ ઉપરાંત, રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે પણ સખી મંડળની બહેનો દ્વારા મતદાન જાગૃતિ માટે સ્તુત્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં એક પણ મતદાર બાકી ન રહી જાય તેવા ઉમદા આશય સાથે બહેનોએ મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. આમ, સખી મંડળની બહેનો જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા સક્રિય સહયોગ આપી રહી છે.





