MORBI:મોરબી: “સત્તાનો અહમ છોડો અને પ્રજાના સેવક બનો”, વિજેતા ઉમેદવારોને કાંતિલાલ અમૃતિયાની કડક ટકોર.





MORBI:મોરબી: “સત્તાનો અહમ છોડો અને પ્રજાના સેવક બનો”, વિજેતા ઉમેદવારોને કાંતિલાલ અમૃતિયાની કડક ટકોર.

મોરબી: મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના શાનદાર દેખાવ બાદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ચૂંટાયેલા તમામ 52 સભ્યો સાથે બેઠક યોજી હતી. આ તકે તેમણે ઐતિહાસિક જીત માટે મોરબીની જનતાનો આભાર માન્યો હતો અને વિજેતા ઉમેદવારોને રાજકારણમાં લાંબુ આયુષ્ય ટકાવી રાખવા માટે લોકસેવાના પાઠ ભણાવ્યા હતા.

કાંતિલાલ અમૃતિયાએ આ વિજયને સરદાર પટેલના સમયની અમદાવાદ પાલિકાની જીત સાથે સરખાવતા જણાવ્યું હતું કે, આ જીત કોઈ દાદાગીરીથી નહીં પણ વિકાસ અને શાંતિના નામે મળી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, “સત્તાનો કોઈ અહમ રાખ્યા વિના માત્ર પ્રજાના કામો કરવા.” તેમણે સભ્યોને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવા સૂચન કર્યું કે, સવારે વહેલા ઉઠીને પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેમની મહેમાનગતિ કરવી.
વિકાસનું લક્ષ્ય અને ‘ટાર્ગેટ 3 બગીચા’મોરબીના આધુનિકીકરણ પર ભાર મુકતા તેમણે સભ્યોને કામના લક્ષ્યાંકો આપ્યા હતા: દરેક વોર્ડના 15 કામોનું લિસ્ટ બનાવી, પ્રાધાન્ય મુજબ 5-5 કામોના તબક્કામાં પૂર્ણ કરવા દરેક વોર્ડમાં 5 વર્ષમાં ઓછામાં ઓછા 3 બગીચા બનાવવા. દર 6 મહિને કે વર્ષે એક બગીચો તૈયાર થાય તેવું આયોજન કરવું શુદ્ધ પાણી, રસ્તાઓ અને બાયપાસ સુવિધા પર વિશેષ ધ્યાન આપવું.પ્રજાલક્ષી યોજનાઓ અંગે તેમણે કડક સૂચના આપતા કહ્યું કે, છેવાડાના માનવી સુધી ‘મા કાર્ડ’ અને અન્ય સરકારી યોજનાઓ પહોંચવી જોઈએ. જો કોઈ અધિકારી કામ કરવામાં આળસ કરે કે લોકોને ધક્કા ખવડાવે, તો તેમને દોડાવવાની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિની છે. જરૂર પડે ઉપર સુધી રજૂઆત કરવામાં પાછીપાની ન કરવા તેમણે આહ્વાન કર્યું હતું.

અમૃતિયાએ એક ઉમદા શીખ આપતા કહ્યું કે, જો કોઈ સગા-વ્હાલા કે પરિચિત વિરોધ પક્ષ સાથે જોડાયેલા હોય તો તેમની સાથે સંબંધ બગાડવા નહીં, પરંતુ તેમને મળીને સમજાવવા. તેમણે આગામી 3 મહિનામાં ગાંધીનગર અને મુંબઈની મુલાકાત લઈ મોરબી માટે વધુ નવા વિકાસકામોના ખાતમુહૂર્ત કરવાની ખાતરી આપી હતી.આ બેઠકમાં પ્રદીપ વાળા, લાખાભાઈ જારીયા સહિત સીરામીક એસોસિએશનના હોદ્દેદારો નિલેશભાઈ જેતપરીયા, હરેશભાઈ બોપલીયા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



