જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો “સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન,ખંભાળિયા ખાતે યોજાયો હતો.
જિલ્લા કલેકટરશ્રીએ સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વિવિધ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી તાત્કાલિક અને અસરકારક નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. સ્વાગત કાર્યક્રમમાં આવેલ અરજીઓને ક્રમાનુસાર ધ્યાને લઈ જરૂરી નિરાકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જમીન રી-સર્વે બાદ નકશામાં ભુલ સુધારા બાબત, વીજ ટ્રાન્સફોર્મરને લીધે થયેલ નુકસાન બાબતની અરજદારોની રજૂઆત સામેલ હતી. “સ્વાગત” કાર્યક્રમ દ્વારા નાગરિકોને સીધી રીતે પોતાના પ્રશ્નો રજૂ કરવાની અને પારદર્શક પદ્ધતિથી ઝડપી નિવારણ મેળવવાની સગવડ ઉપલબ્ધ થતી હોવાને કારણે અરજદારોએ સંતોષ વ્યક્ત કરી કલેકટરશ્રીનો આભાર માન્યો હતો.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.બી.પાંડોર, નાયબ કલેકટર શ્રી રિદ્ધિ રાજ્યગુરુ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






