
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી એલ.સી.બી.નો સરાહનીય પ્રયાસ: ગુમ થયેલા 10 મોબાઈલ શોધી માલિકોને પરત આપ્યા
અરવલ્લી જિલ્લામાં લોકોની સુરક્ષા અને સુખાકારી માટે પોલીસ તંત્ર સતત સતર્ક કામગીરી કરી રહ્યું છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોનને શોધી મૂળ માલિકોને પરત આપવાની મહત્વપૂર્ણ કામગીરી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા હાથ ધરવામાં આવી છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે એલ.સી.બી. ટીમે સક્રિય કામગીરી હાથ ધરી હતી.
વર્ષ 2024-2025 દરમિયાન જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોબાઈલ ફોન ગુમ થવાના અનેક બનાવો નોંધાયા હતા. આ બનાવોને ધ્યાનમાં રાખીને એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ ટીમે CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા 10 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 1,51,787 જેટલી થાય છે.શોધી કાઢવામાં આવેલા તમામ મોબાઈલ ફોન “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત પોલીસ ઇન્સપેક્ટર એમ.એચ. ઝાલાના હસ્તે તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પોતાના ગુમ થયેલા મોબાઈલ ફરીથી મળતાં માલિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને પોલીસની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.આ કામગીરીથી અરવલ્લી પોલીસનું “પોલીસ પ્રજાનો સાચો મિત્ર” સૂત્ર ફરી એકવાર સાર્થક થયું છે.





