JODIYA:ભર ઉનાળે બાલંભા તરસ્યું: જળસ્તર ઘટતા ગ્રામજનોની મુશ્કેલીમાં તોતિંગ વધારો.





JODIYA:ભર ઉનાળે બાલંભા તરસ્યું: જળસ્તર ઘટતા ગ્રામજનોની મુશ્કેલીમાં તોતિંગ વધારો.

રિપોર્ટ લલીતભાઈ નિમાવત બાલંભા

ભર ઉનાળે જ્યારે તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું બાલંભા ગામ પાણીની ભયાનક તંગીનો સામનો કરી રહ્યું છે. તંત્રની “નીંભર” નીતિ અને લાઈન પરના ગેરકાયદે કનેક્શનોને કારણે ગામમાં છેલ્લા ઘણા સમયથી હાહાકાર મચી ગયો છે.
બાલંભા ગામમાં પાણી વિતરણની વ્યવસ્થા સાવ ખોરવાઈ ગઈ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં 8 થી 10 દિવસ સુધી નળમાં પાણી આવતું નથી. પીવાના પાણી માટે ગ્રામજનોને રઝળપાટ કરવાની ફરજ પડી રહી છે, જે તંત્રની નિષ્ફળતા છતી કરે છે.
બાલંભામાં પાણી ન પહોંચવા પાછળનું મુખ્ય કારણ મેન લાઈનમાંથી લેવામાં આવેલા કનેક્શનો છે.
દુધઈ, માવનુ ગામ, સામપર અને માધાપર જેવા ગામોમાં મેન લાઈનમાંથી કનેક્શનો લઈ લેવામાં આવ્યા છે.
આ ગામોમાં 8 થી 12 કલાક સુધી પાણી ખેંચવામાં આવે છે.
પરિણામે, મોરાણા સંપ સુધી જરૂરી જથ્થો પહોંચતો નથી અને છેવાડાના બાલંભા ગામના ભાગે માત્ર તરસ જ આવે છે.
બાલંભાના સરપંચ દ્વારા આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. તંત્રની આ બેજવાબદારીને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
”જો તંત્ર તાત્કાલિક ધોરણે મેન લાઈન પરના કનેક્શનો તપાસીને તે બંધ નહીં કરે અથવા વિતરણ વ્યવસ્થામાં સુધારો નહીં કરે, તો આગામી દિવસોમાં બાલંભા ગામ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.” – ગ્રામજનો, બાલંભા
હવે જોવાનું એ રહ્યું કે, શું તંત્ર આ ઉગ્ર આંદોલનની ચીમકી બાદ જાગશે કે પછી બાલંભાના લોકોએ આ આકરા ઉનાળામાં હજુ વધુ દિવસો તરસ્યા રહેવું પડશે?





