SURENDRANAGAR “હોદ્દો નહીં, માનવતા મોટી”: સુરેન્દ્રનગરમાં એસ.પી. પ્રેમસુખ ડેલુંનો સંવેદનશીલ અભિગમ, વિકલાંગ દંપતિને અપાવ્યો ન્યાય





SURENDRANAGAR “હોદ્દો નહીં, માનવતા મોટી”: સુરેન્દ્રનગરમાં એસ.પી. પ્રેમસુખ ડેલુંનો સંવેદનશીલ અભિગમ, વિકલાંગ દંપતિને અપાવ્યો ન્યાય

કહેવાય છે કે ખાખી વર્દીની અંદર પણ એક સંવેદનશીલ હૃદય ધબકતું હોય છે, જેનો જીવંત પુરાવો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુંએ આપ્યો છે. એક વિકલાંગ દંપતિની વર્ષો જૂની સમસ્યાનો ગણતરીની મિનિટોમાં ઉકેલ લાવીને તેમણે સાબિત કરી દીધું કે કાયદો માત્ર સજા આપવા માટે નહીં, પણ ગરીબ અને અસહાય લોકોની વહારે આવવા માટે પણ છે.

સુરેન્દ્રનગરના એક વિકલાંગ દંપતિ લાંબા સમયથી પોતાની જમીનના પ્રશ્ને મુશ્કેલીમાં હતું. જમીનના મૂળ દસ્તાવેજો અન્ય વ્યક્તિ પાસે હતા અને જૂના કરારને કારણે તેઓ પોતાની જ મિલકત બાબતે લાચાર બન્યા હતા. ન્યાયની આશાએ આ દંપતિ જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યું હતું.સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓને મળવા માટે લાંબી રાહ જોવી પડતી હોય છે, પરંતુ એસ.પી. પ્રેમસુખ ડેલુંને જ્યારે જાણ થઈ કે એક દંપતિ તકલીફમાં છે, ત્યારે તેઓ પ્રોટોકોલ બાજુ પર મૂકીને પોતાની ઓફિસમાંથી નીચે ઉતરી આવ્યા હતા. તેમણે દંપતિની વાત શાંતિથી સાંભળી અને મામલાની ગંભીરતા સમજી તુરંત જ એક્શન લીધા.
એસ.પી.એ બી ડિવિઝન પોલીસને ત્વરિત સૂચના આપી મધ્યસ્થતા કરવા જણાવ્યું. પોલીસની કડક અને અસરકારક કામગીરીને કારણે દંપતિને જમીનના મૂળ દસ્તાવેજો પરત મળ્યા અને જૂનો વિવાદાસ્પદ કરાર રદ કરવામાં આવ્યો.

ન્યાય મળ્યા બાદ દંપતિની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા. આભાર વ્યક્ત કરવા માટે જ્યારે દંપતિએ એસ.પી. સાહેબને શાલ ઓઢાડવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમણે જે કર્યું તેણે લોકોના દિલ જીતી લીધા. એસ.પી. સાહેબ પોતે જમીન પર બેસી ગયા જેથી વિકલાંગ દંપતિ આસાનીથી તેમને સન્માનિત કરી શકે.“જ્યારે સત્તા અને હોદ્દા કરતા માનવતા ઉપર આવે છે, ત્યારે જ જનતાનો પોલીસ પરનો વિશ્વાસ અતૂટ બને છે.”


