
તા.૦૫.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dhanpur:ધાનપુર તાલુકામાં રાઠોડ ચેતનભાઈ દ્વારા પ્રાકૃતિક કૃષિ જાગૃતિ માટે તાલીમ યોજાઈ
રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના આડેધડ ઉપયોગ થકી ધરતી પથ્થર જેવી બંજર બની ગઈ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપવા માટે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ધાનપુર તાલુકામાં પ્રગતિશીલ ખેડૂત રાઠોડ ચેતનભાઈ એ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજી હતી. એમણે સૌ ખેડૂતોને સમજાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવીને રાસાયણિક ખાતર થકી ધરતી માતાને બંજર થતી બચાવાની છે. આપણા પૂર્વજોએ વારસામાં ફળદ્રુપ જમીન આપી હતી, પરંતુ આપણે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોનો આડેધડ ઉપયોગ કરીને ધરતીને પથ્થર જેવી બંજર બનાવી દીધી છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને રોગમુક્ત સમાજ માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર ઉપાય છે. આજે ખેતરોમાં આપણે નાખેલા રાસાયણિક ખાતરોને કારણે અનાજ અને ફળો દ્વારા માનવ શરીરમાં ઝેર પ્રવેશી રહ્યું છે, જેના કારણે નાના બાળકો પણ કેન્સર અને ડાયાબિટીસ જેવી જીવલેણ બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ ધરતીના જળસ્તર સુધારવા, પશુ-પક્ષીઓને બચાવવા અને આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાનો એકમાત્ર માર્ગ છે





