સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર મંદિર ઉપર ૧૧મી મેએ ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થશે
૯૦ મીટર ઊંચી ક્રેનથી વિશાળ કુંભને શિખર સુધી લઈ જવાશે, મંત્રોચ્ચાર સાથે કરાશે અભિષેક

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” ઉત્સવના પગલે આ દેવભૂમિ પર ચોમેર ઉમંગ અને ઉત્સાહ વર્તાઈ રહ્યા છે. આ પર્વ સાથે સોમનાથ ક્ષેત્રમાં અનેક ઈતિહાસ પણ રચાવા જઈ રહ્યા છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના શિખર પર પહેલીવાર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક કરવામાં આવશે.
“સોમનાથ અમૃતપર્વ ૨૦૨૬”ના વિશેષ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૧૧મી મેના રોજ સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાનશ્રી સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે. આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ ૯૦ મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે. બ્રાહ્મણો પણ આ કુંભની સાથે જ રહેશે. ૧૧ તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે.
આ અંગે તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી હેમલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે દેશના દક્ષિણના રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે. જ્યાં મોટેભાગે ૧૦-૧૨ વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ સોમનાથમાં આવું પ્રથમવાર થઈ રહ્યું છે.








