શહેરાના નરસાણા ગામમાં સિંચાઈની સુવિધા મુદ્દે ગ્રામજનોની ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રજૂઆત

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ નરસાણા ગામમાં વર્ષોથી સિંચાઈની યોગ્ય સુવિધાના અભાવે ખેડૂતો મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે નરસાણા ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ એકત્ર થઈને સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને લેખિતમાં રજૂઆત કરી છે. નરસાણા ગામના ખેડૂતો હાલ ખેતી માટે સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર હોવાથી તેમની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે, જ્યારે આજુબાજુના અન્ય ગામોમાં સિંચાઈનું પાણી પહોંચી ગયું છે. ગ્રામજનોએ એવી માંગણી કરી છે કે કવાલી ગામેથી પસાર થતી કેનાલનું પાંખિયું નરસાણા ગામ સુધી લંબાવવામાં આવે તો સિંચાઈનો પ્રશ્ન ઉકેલી શકાય તેમ છે. આ રજૂઆત દરમિયાન ગ્રામજનોએ ખાતરી આપી હતી કે જો કેનાલ માટે જમીન સંપાદન કરવાની જરૂર પડશે તો ગ્રામલોકો સ્વૈચ્છિક રીતે જમીનનો પ્રશ્ન ઉકેલવા તૈયાર છે. પિયતની સુવિધા મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેવી આશા સાથે મોટી સંખ્યામાં આગેવાનોએ ધારાસભ્યને રૂબરૂ મળી વહેલી તકે કેનાલનું કામ શરૂ કરાવવા વિનંતી કરી છે.







