શહેરા ડાયલ ૧૧૨ PCR ટીમની સતર્કતા: વાઘજીપુર ગામે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનો જીવ બચાવી માનવતા મહેકાવી

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા 
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે ડાયલ ૧૧૨ PCR ટીમની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી છે. ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરી રહેલા એક યુવકને પોલીસે મોતના મુખમાંથી ઉગારી લઈ પ્રશંસનીય કામગીરી કરી છે.
શહેરા ડાયલ ૧૧૨ PCR ટીમને વર્ધી (કોલ) મળેલ કે વાઘજીપુર ગામે એક યુવક આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો છે. કોલર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના પતિ મહેન્દ્રભાઈ બારિયા કોઈ કારણોસર ગળેફાંસો ખાવાની તૈયારીમાં છે. માહિતીની ગંભીરતાને સમજી PCR ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી.
પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ત્યારે મહેન્દ્રભાઈ પોતાના ઘરના પડદા વડે ગાળિયો બનાવી આત્મહત્યાનો અંતિમ પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, PCR સ્ટાફે સેકન્ડોના વિલંબ વગર ત્વરિત કાર્યવાહી કરી તેમને બચાવી લીધા હતા. ત્યારબાદ તેમને શેહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ દ્વારા તેમનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સમજાવટ બાદ યુવકને તેના પરિવાર (પત્ની અને બાળક) સાથે સુરક્ષિત રીતે મિલન કરાવાયું હતું.
આ સફળ રેસ્ક્યુ ઓપરેશનમાં શહેરા PCR ના પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ ભરવાડ, હોમગાર્ડ રતનસિંહ ખાંટ ,શોભાભાઈ પાગી ,પાયલોટ કિરણસિંહ ખાંટ
સમયસર પહોંચીને એક પરિવારનો માળો વિખેરાતો બચાવવા બદલ સ્થાનિકો અને પોલીસ વિભાગ દ્વારા આ ટીમની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે.







