અંકલેશ્વર NH-48 પરથી ચરસ-ગાંજા સાથે બે ઝડપાયા: CID ક્રાઈમની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે ₹1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો



સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર અંસાર માર્કેટ નજીકથી સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે ચરસ અને ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ ₹1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સના પી.એસ.આઈ વી.કે. ગરાસિયા અને તેમનો સ્ટાફ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો બાઈક પર ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ અને આપ-લે કરી રહ્યા છે. આ બાતમીના આધારે, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઈવે પર અંસાર માર્કેટ નજીકના વોકિંગ ફ્લાયઓવર પાસે વોચ ગોઠવી હતી. વાલિયા ચોકડી તરફથી બાતમીવાળી બાઈક પર ત્રણ ઈસમો બેગ સાથે આવી રહ્યા હતા. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કરતા, તેમાંથી એક ઈસમ બાઈક પરથી કૂદીને ભાગી ગયો હતો.પોલીસે માંગરોળના કોઠવા ગામના તૌસિફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 973 ગ્રામ ગાંજો, 195 ગ્રામ ચરસ, એક બાઈક અને બે મોબાઈલ ફોન મળી કુલ ₹1.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે સુવેજ ગુલામ શેખને વોન્ટેડ જાહેર કર્યો છે.




