OBC આરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી, માતા-પિતા IAS અધિકારી હોય તો તેમને આરક્ષણનો લાભ શા માટે ?

સુપ્રીમ કોર્ટે શુક્રવારે OBC ક્રીમી લેયર આરક્ષણ મુદ્દે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. અદાલતે કહ્યું કે જો માતા-પિતા IAS અધિકારી હોય, સારી નોકરીમાં હોય અને સારી આવક હોય તો તેમના બાળકોને આરક્ષણનો લાભ શા માટે મળવો જોઈએ? આવા બાળકોને આરક્ષણની શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ. કોર્ટે પછાત વર્ગોના ક્રીમી લેયર સંબંધિત આરક્ષણની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી હતી.
સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે જો બંને માતા-પિતા IAS અધિકારી હોય તો તેમના બાળકોને આરક્ષણનો લાભ શા માટે મળવો જોઈએ? તેમણે આગળ કહ્યું કે શિક્ષણ અને આર્થિક રીતે મજબૂત બનવાથી સમાજમાં આગળ વધવાની તક મળે છે. તેથી આવા પરિવારોના બાળકો માટે સતત આરક્ષણ માંગવું યોગ્ય નથી. આ એક એવો મુદ્દો છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓના માતા-પિતા સારી નોકરીમાં છે અને સારી આવક ધરાવે છે, છતાં તેમના બાળકો અનામતની માંગ કરી રહ્યા છે. આવા લોકોને હવે આરક્ષણની શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ. તેમણે કહ્યું કે આ મુદ્દા પર ગંભીર ચર્ચા કરવાની જરૂર છે. સાથે જ EWS અને OBC ક્રીમી લેયર વચ્ચે પણ સ્પષ્ટ ફરક હોવો જોઈએ.
જસ્ટિસ નાગરત્નાએ EWSનો ઉલ્લેખ કરતા કહ્યું કે EWSમાં માત્ર આર્થિક રીતે નબળાઈનો મુદ્દો છે જ્યારે OBC ક્રીમી લેયરમાં સામાજિક અને શૈક્ષણિક પછાત હોવાનો મુદ્દો પણ જોડાયેલો છે. તેથી ક્રીમી લેયરના નિયમો EWS કરતા અલગ અને વધુ ઉદાર હોવા જોઈએ. જો બંનેને એકસરખા માનવામાં આવશે તો બંને વચ્ચેનો ફરક જ ખતમ થઈ જશે.
તેમણે આગળ કહ્યું કે આ મામલે યોગ્ય સંતુલન જરૂરી છે. જો કોઈ પરિવાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હતો પરંતુ આરક્ષણનો લાભ લઈને માતા-પિતા ઊંચા હોદ્દા સુધી પહોંચ્યા હોય, જેમ કે બંને IAS અધિકારી અથવા સરકારી સેવામાં સારી સ્થિતિમાં હોય તો હવે તેમની સામાજિક સ્થિતિ બદલાઈ ગઈ છે. સરકાર આવા લોકોને આરક્ષણમાંથી બહાર રાખવાના આદેશ આપી રહી છે અને કેટલાક લોકો આ નિર્ણયને પડકારી રહ્યા છે. આ બાબતને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. જોકે કોર્ટે આ અરજી પર નોટિસ જારી કરી છે.





