
આઝાદીના 78 વર્ષ બાદ પણ નર્મદાનું તુમડાવાડી ગામ વિકાસથી વંચિત: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સૂચનાથી તાત્કાલિક બોરવેલની સુવિધા કરાઈ.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 31/05/2026 – નર્મદા જિલ્લાના ચિકદા તાલુકાના તુમડાવાડી ગામે આમ આદમી પાર્ટીના આગેવાનો ની મુલાકાત દરમિયાન એક એવી વાસ્તવિકતા સામે આવી હતી કે ગ્રામજનો કોતરડા માંથી પાણી પીવા મજબુર છે.
આ ગંભીર પરિસ્થિતિ ને ધ્યાને લઈને ડેડીયાપાડા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી ચૈતર વસાવાએ તાત્કાલિક સૂચનો આપ્યા હતા. જેના પગલે આમ આદમી પાર્ટીના ચિકદા તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ વસાવા, ગંગાપુર તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જયદીપભાઈ વસાવા યુવા આગેવાન લાલુભાઈ વસાવા, કેતલભાઈ, નિલેશભાઈ સહિતના પદાધિકારીઓએ તાકીદે તુમડાવાડી ગામમાં બોરવેલની ગાડી લઈ જઈ ઉભા રહી પીવાના પાણી માટે તાત્કાલિક બોર કરાવ્યો હતો.
આ ગામ સુધી યોગ્ય રસ્તાની સુવિધા ન હોવાથી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા પણ પહોંચી શકતી નથી. ગામમાં અંદાજે 70થી 80 જેટલા બાળકો અભ્યાસ માટે યોગ્ય વયના હોવા છતાં શાળાની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે આશરે 30 જેટલા નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર પણ નથી. ગામની કુલ વસ્તી અંદાજે 600 જેટલી છે, જેમાંથી ઘણા પરિવારો રોજગાર માટે શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
ગામમાં સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી થઈ શકે છે. ગામના તમામ મકાનો કાચા અને ઝૂંપડપટ્ટી જેવા છે, તેમજ જંગલ ખાતા દ્વારા પાકા મકાન બનાવવા માટે પણ પરવાનગી આપવામાં આવતી નથી. હાલમાં માત્ર 41 લોકોના આધારકાર્ડ બન્યા છે, જ્યારે અનેક લોકો પાસે રાશનકાર્ડ અને ઘરવેરાની પાવતી પણ નથી. ગામમાં હાલમાં અંદાજે 150 જેટલા મકાનો છે, અને 8 જેટલા લોકો ના ચૂંટણી કાર્ડ છે, જ્યારે અન્ય મકાનો જંગલ ખાતા દ્વારા સળગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા. બાજુના દુધલીવેર ગામના ખેડૂતો માટેની AG વિદ્યુત લાઈન તુંબડાવાડી ગામમાંથી પસાર થાય છે, છતાં ગામમાં આજદિન સુધી વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી. ગ્રામજનોએ જંગલ ખાતા દ્વારા નાની નાની બાબતોમાં પણ હેરાનગતિ થતી હોવાની ફરિયાદ કરી હતી, જેમાં સુકા લાકડાં લાવતાં હોવા છતાં તેને લીલા લાકડાં ગણાવીને કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.


