Rajkot: ‘મહિલા અધિવેશન અને સપ્ત માતૃત્વ એવોર્ડ’ કાર્યક્રમનું આયોજન

તા.૩/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ મહાનગર વિશ્વમાંગલ્ય સભા દ્વારા આગામી ૬ જૂન ૨૦૨૬, શનિવાર ના રોજ “મહિલા અધિવેશન સૌરાષ્ટ્ર પ્રાંત અને સપ્ત માતૃત્વ એવોર્ડ” અંગેના એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના આંકડાશાસ્ત્ર ભવન ખાતે આવેલી આર્ટ ગેલેરીમાં સવારે ૯.૦૦ થી સાંજે ૫.૦૦ દરમિયાન યોજાશે.
વિશ્વમાંગલ્ય સભા એ એક સ્વતંત્ર માતૃ સંગઠન છે, જે સમગ્ર ભારત વર્ષના ૨૯ પ્રાંતોમાં કાર્યરત છે. સંસ્થાનું મુખ્ય કેન્દ્ર નાગપુર છે, જેની સાથે હાલ ૧૫ પૂર્ણકાલીન પ્રચારિકાઓ, ૧૫૩૦ દાયિત્વધારી કાર્યકર્તાઓ અને ૫૦,૦૦૦ જેટલા સદસ્યો જોડાયેલા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આ સંગઠન આધ્યાત્મની જ્યોત પ્રજ્વલિત કરી રહ્યું છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સુદ્રઢ, સંસ્કારવાન, સામર્થ્યથી પરિપૂર્ણ, તેજસ્વી અને રાષ્ટ્રધર્મ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ માતાઓનું નિર્માણ કરવાનો છે. આધુનિક અને સામાજિક જીવન પ્રણાલીનો આદર કરીને તેજસ્વી અને સુસંસ્કારી પેઢીનું નિર્માણ કરી શકાય તે માટે સંસ્થા સંસ્કાર, સામર્થ્ય, સદાચાર અને સેવાના મુખ્ય ચાર સૂત્રોને અનુસરીને વિવિધ કાર્યો કરે છે.
આગામી ૬ જૂનના રોજ યોજાનારા આ વિશેષ અધિવેશનમાં રાષ્ટ્રીય માર્ગદર્શક શ્રી પ્રશાંતજી હડતાલકર, અખિલ ભારતીય સહ સંગઠક શ્રી પુજાબેન દેશમુખ (અખિલ ભારતીય સંગઠક છાત્ર સભા) તથા ગુજરાત સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠક શ્રી શ્રુતિબેન દેશપાંડે વિશેષ રૂપે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે.
આ કાર્યક્રમમાં રાજકોટ સ્થિત તમામ વિદુષી નારીઓને ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં જોડાવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી, પરંતુ નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવવું અને ઓનલાઈન ફોર્મ ભરવું ફરજિયાત રહેશે.રજીસ્ટ્રેશન કરાવવા માટે રાજકોટ મહાનગર સંયોજિકા શ્રીમતિ દીપ્તિબેન ટીપરે (મોબાઈલ નંબર: 9429567309) અથવા સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજિકા ડો. ગીતાબેન રાઠોડ (મોબાઈલ નંબર: 9909991897) નો સંપર્ક કરવાનો રહેશે.


