બોરસદ તાલુકાના સારોલ ગામે રૂ.17.75 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

બોરસદ તાલુકાના સારોલ ગામે રૂ.17.75 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

તાહિર મેમણ – આણંદ – 06/06/2026 – રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામ સુધી અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળી રહે તે માટે વિવિધ વિસ્તારોમાં નવા સબ સ્ટેશન નું નિર્માણ કરીને વીજ પુરવઠાની સુવિધા વધુ સુદ્રઢ અને સુવ્યવસ્થિત બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ આયોજન અંતર્ગત આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સારોલ ગામ ખાતે રૂપિયા 17.75 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા સબ સ્ટેશનનું ખાતમુર્હુત આજે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મંત્રી શ્રી રમણભાઈ સોલંકી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે સારોલ ગામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે આજે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે.
આ વિસ્તારમાં વીજળીની સમસ્યાઓના કાયમી નિવારણ અને વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે નવા મંજૂર થયેલા વીજ સબ-સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થતાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનોને વધુ સ્થિર, પૂરતા દબાણ સાથે અને ગુણવત્તાસભર વીજ પુરવઠો મળશે. સાથે જ લો-વોલ્ટેજ અને વારંવાર સર્જાતી વીજ સમસ્યાઓમાંથી રાહત મળશે અને ખેતી, વ્યવસાય અને ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચ શ્રી તથા વીજ કંપનીના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



