જલાલપોરના મોહે-બોરસી ખાતે સરકારી જમીન પરના 28 ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પડાયા
1.58 લાખ ચો.મી. સરકારી જમીન કરાઈ મુક્ત, અંદાજિત ₹24.55 કરોડની જમીન બચાવી; તંત્રનું વિશેષ ઓપરેશન સફળ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોહે-બોરસી વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા (પ્રોન) તળાવો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. મામલતદાર કચેરી જલાલપોર, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને ફિશરીઝ વિભાગની સંયુક્ત કામગીરી હેઠળ કુલ 28 ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સર્વે નં. 55 સહિતની અંદાજે 1,58,300 ચોરસ મીટર સરકારી જમીન પર મંજૂરી વિના ઝીંગા ઉછેર માટે તળાવો બનાવવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા વિશેષ અભિયાન દરમિયાન JCB મશીનોની મદદથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
તંત્રના જણાવ્યા અનુસાર મુક્ત કરાવવામાં આવેલી જમીનની બજાર કિંમત અંદાજે ₹24.55 કરોડ જેટલી થાય છે. જમીન પર ફરીથી ગેરકાયદેસર કબજો ન થાય તે માટે સરકારી હદબંધી અને તારફેન્સિંગ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કે ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.




