પીએમ સૂર્ય ઘર યોજનાનો ચમત્કાર ! : વીજ બિલ થયું શૂન્ય, જૂનાગઢના કિશોરભાઈ પનારા ઊર્જા ઉત્પાદનમાં બન્યા આત્મનિર્ભર : ઘરનું વીજ બિલ થયું ‘ઝીરો’
પીએમ સૂર્ય ઘર યોજનાનો ચમત્કાર ! : વીજ બિલ થયું શૂન્ય, જૂનાગઢના કિશોરભાઈ પનારા ઊર્જા ઉત્પાદનમાં બન્યા આત્મનિર્ભર : ઘરનું વીજ બિલ થયું 'ઝીરો'

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાથી ચમત્કાર સર્જાયો છે તેમ કહેવું અસ્થાને નથી, કારણ કે આ યોજના હેઠળ રૂ. ૭૮,૦૦૦ સુધીની માતબર સહાય મળે છે. તેમજ વીજ ઉપકરણોના વપરાશમાં મોકળાશ સાથે વીજ બિલ પણ શૂન્ય થઈ જાય છે! એવું જ કંઈક બન્યું છે જૂનાગઢના દીપાંજલિ-૨ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ રાજાભાઈ પનારા સાથે. તેમણે આશરે બે વર્ષ પહેલાં પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ મેળવ્યો હતો, જે હેઠળ તેમને રૂ. ૭૮,૦૦૦ની સહાય મળી હતી. બે માળના મોટા મકાનમાં રહેતા કિશોરભાઈનું આજે વીજ બિલ શૂન્ય થયું છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ સારી યોજના અમલમાં મૂકી છે, જેનાથી લોકોનું વીજ બિલ શૂન્ય થઈ જાય છે. એટલું જ નહીં, રૂ. ૭૮,૦૦૦ સુધીની સબસિડી પણ મળે છે. આ યોજનાનો મુખ્ય ફાયદો એ છે કે વીજ બિલ શૂન્ય થઈ જાય છે. આશરે બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, પણ હજી સુધી વીજ બિલ પેટે એક રૂપિયો પણ ભરવો પડ્યો નથી. સાથે સાથે વીજ ઉપકરણોનો મોકળાશપૂર્વક ઉપયોગ કરી શકીએ છીએ. તેઓ એમ પણ કહે છે કે, સોલાર પેનલથી વીજ ઉત્પાદન ખૂબ સારું થઈ રહ્યું છે. ઘરમાં બે એસીનો વપરાશ છે અને ગરમ પાણી માટે ગીઝર પણ મુકાવ્યું છે. ઉપરાંત હવે એલપીજી ગેસનો ઉપયોગ બંધ કરીને તેની જગ્યાએ વીજળીથી ચાલતા ઇન્ડક્શન પર રસોઈ બનાવીએ છીએ. આમ, શ્રી કિશોરભાઈ પનારા પોતાના ઘર માટે ઉર્જા ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યાં છે. કિશોરભાઈ જણાવે છે કે, વીજ જનરેશન ખૂબ વધુ હોવાથી તેઓ અત્યારની ફોર-વ્હીલર ગાડીની જગ્યાએ ઇલેક્ટ્રિક કાર વસાવવાનું વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ કિલોવોટ પ્રમાણે રૂ. ૩૦,૦૦૦ થી રૂ. ૭૮,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર છે. જો એક પરિવારનો વીજ વપરાશ આશરે ૩૦૦ યુનિટ જેટલો હોય, તો ૩ કિલોવોટની સિસ્ટમની આવશ્યકતા રહે છે, જેનાથી તેમનું વીજ બિલ શૂન્ય થઈ જાય છે. આમ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘હર ઘર સૂર્ય ઘર’ બનાવવાની સાર્થક નેમ પણ સાર્થક થઈ રહી છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 






