
કેશોદ તાલુકામાં ભારે વરસાદના પગલે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે કેશોદના ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા એક દંપતીનું આબાદ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કેશોદના કંટ્રોલરૂમ પર સાંજના ૭.૧૫ કલાકની આસપાસ બે લોકો વાડી વિસ્તારમાં પૂરની સ્થિતિના કારણે ફસાયા હોવાની વિગતો મળી હતી. જેના અનુસંધાને પ્રાંત અધિકારી શ્રી કિશન ગરસર અને મામલતદાર શ્રી સંદીપ મહેતાના માર્ગદર્શન હેઠળ ત્વરિત કેશોદ મોડલ ફાયર સ્ટેશનની ટીમ બોટ સહિતની અદ્યતન સામગ્રી સાથે ઘટના સ્થળે રેસ્ક્યુ કામગીરી માટે પહોંચી હતી. ટીટોડી ગામના વાડી વિસ્તારમાં ફસાયેલા અશ્વિનભાઈ માકડીયા તથા ઉષાબેન માકડીયાને બોટ મારફતે કેશોદ મોડલ ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આશરે અડધા કલાકના ટૂંકા સમયમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્રની ટીમ દ્વારા આ દંપતીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યું હતું.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






