ખોલવડમાં વરસાદી પાણીના ભરાવાથી રહિશોમાં રોષ, રજૂઆત છતાં કાર્યવાહી નહીં

કામરેજ: ખોલવડ ગામના અમૃત કુંજ સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. સ્થાનિક રહિશોના જણાવ્યા મુજબ વરસાદ બાદ અનેક દિવસો સુધી પાણી ભરાયેલું રહેતા અવરજવર મુશ્કેલ બની જાય છે તેમજ મચ્છરજન્ય અને અન્ય ચેપી રોગો ફેલાવાનો ભય પણ ઉભો થયો છે.
આ સમસ્યાને લઈને સ્થાનિક રહિશોએ કામરેજ ખોલવડ જિલ્લા પંચાયત બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહેલા રેખાબેન સંઘાણી સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆત મળતા રેખાબેન સંઘાણીએ તાત્કાલિક કામરેજ તાલુકા વિકાસ અધિકારીને અને સુડાના ઉચ્ચ અધિકારીઓને તથા કોન્ટ્રાક્ટરોને પણ સમગ્ર મામલે જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હોવાનું જણાવાયું છે.
જોકે, સ્થાનિકોના આક્ષેપ મુજબ રજૂઆત બાદ પણ હજુ સુધી સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઈ અસરકારક અથવા કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે રહિશોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિકોએ તંત્રને વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક યોગ્ય આયોજન કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અપીલ કરી છે, જેથી આગામી વરસાદ દરમિયાન લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.
આ પાણીના નિકાલનું કોઈ સમાધાન નહીં થાય તો ભવિષ્યમાં સોસાયટીના રહીશોને સાથે લઈને ઉગ્ર આંદોલન જોવા મળશે.
રિપોટર કલ્પેશ ધામેલીય કામરેજ સુરત







