
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં જનજીવન સામાન્ય રહે અને વાહનવ્યવહારને અસર ન થાય તે માટે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, આહવા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગત દિવસોમાં ભારે વરસાદ અને ઓવરટોપિંગના (પાણી ફરી વળવાના) કારણે બારીપાડા-માનમોડી-સુરગાણા રોડનું ધોવાણ થયું હતું અને સાઈડ શોલ્ડરને નુકસાન પહોંચ્યું હતું. આ માર્ગ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો મહત્વનો રસ્તો હોવાથી, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના કાર્યપાલક ઈજનેર શ્રી કેતન કુંકણાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી છે. નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા અને વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે હાલમાં આ રોડનું સમારકામ ઝડપથી ચાલી રહ્યું છે.
હાલમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ રાજ્ય ધોરીમાર્ગો તેમજ અન્ય મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર નિયમિત રીતે ચાલુ છે અને વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.




