ગિરનારમાં વન્યજીવોની સુરક્ષા માટે કડક નિયમો લાગુ:તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ખાસ જાહેરનામું
ગિરનારમાં વન્યજીવોની સુરક્ષા માટે કડક નિયમો લાગુ:તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ખાસ જાહેરનામું

તાજેતરમાં ગિરનાર વિસ્તારમાં બનેલી માનવ – સિંહ સંઘર્ષની દુ:ખદ ઘટનાના પરિપ્રેક્ષ્યમાં યાત્રાળુઓની સુરક્ષા તેમજ વન્યજીવ સંરક્ષણ માટે ગિરનારની નવી સીડી, જુની સીડી તથા દાતાર સીડી માર્ગોને ‘સાઇલન્સ ઝોન’ તરીકે જાહેર કરવા દરખાસ્ત થઈ આવેલ છે.ગિરનાર એ જૂનાગઢનું આકર્ષણ છે. ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. ગિરનાર પર હિન્દુ તથા જૈન ધર્મના લોકોના મંદિરો, દેરાસરો, તીર્થસ્થાનો વિગેરે આવેલ છે. જોડી હજારો શ્રધ્ધાળુઓ ગિરનારની યાત્રા કરતા હોય છે. આ ઉપરાંત બહોળી સંખ્યામાં લોકો ટુરીસ્ટ તરીકે પણ મુલાકાત લેતા હોય છે. વધુમાં, રોપ- વે નો વિકાસ થવાથી પણ યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવા પામેલ છે. શ્રધ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતા તેમજ હાલ વિવિધ ઇલક્ટ્રોનિક સાધનો, મ્યુઝીક સિસ્ટમ, બ્લ્યુ ટુથ સ્પીકર ના ઉપયોગથી વન્યજીવોને ખલેલ પહોંચે તેવું માનવાને કારણ રહે છે. ‘શ્રી વિશ્વ જૈન સંગઠન’ તરફથી મળેલ રજૂઆત મુજબ ‘શ્રી નેમી ગિરનાર ધર્મ યાત્રા’ તા.૦૧/૦૭/૨૦૨૬ ના રોજ શરૂ થઇ અને તા.૧૯/૦૭/૨૦૨૬ ના રોજ ગિરનારજી, જૂનાગઢ ખાતે પહોંચશે અને તા.ર૦/૦૭/૨૦૨૬ ના રોજ જૈન તીર્થંકર શ્રી નેમીનાથજી ભગવાનના નિર્વાણ દિનની ઉજવણી કરાશે. સાથોસાથ રૈવતક સમિતિ, જૂનાગઢ અને શ્રી ગુરૂ દત્તાત્રેય સમસ્ત ભકત મંડળ મહારાષ્ટ્ર તથા ગોરક્ષનાથજી સેવાસંઘ જૂનાગઢ તરફથી મળેલ રજૂઆતો મુજબ દત્તપાદૂકા પૂજન, શ્રી અંબા માતાજી મંદિર પગથીયા પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન હોઈ, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાની સંભાવના છે. આવા સંજોગોમાં ઈલેક્ટ્રોનિક સંસાધનો, મ્યુઝિક સિસ્ટમ, લાઉડ સ્પીકર ના ઉપયોગથી વન્યપ્રાણીઓના ઉશ્કેરાટ અને તેના કારણે વન્ય જીવોની માનવ સાથે સંઘર્ષની ઘટનાઓ બનવા પામે તેવી શક્યતા નકારી શકાય નહિ. ગિરનાર અને દાતાર બંને ધાર્મિક સ્થળો લોકોની આસ્થાનું કેન્દ્ર હોઈ, શ્રધ્ધાળુઓ કાયમી ધોરણે દર્શનાર્થે આવતા-જતા હોઈ, ત્યારે લોકોની સલામતી અને સુરક્ષા હેતુ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, જૂનાગઢ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેર સલામતી અને સુરક્ષાના હિતમાં તાત્કાલીક અસર થી તા.૧૪/૦૯/૨૦૨૬ સુધી આ જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ ગિરનારની નવી સીડી, જૂની સીડી તથા દાતાર સીડી માર્ગો પર કોઈપણ પ્રકારના લાઉડ સ્પીકર, ડીજે, મ્યુઝિક સિસ્ટમ, ડ્રમ અથવા અન્ય વાજિંત્રોનો ઉપયોગ, મોબાઇલ ફોનમાં ઊંચા અવાજે સંગીત વગાડવું, ઊંચા અવાજે જયઘોષ, સૂત્રોચ્ચાર અથવા અવાજ પ્રદૂષણ સર્જતી અન્ય કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ રહેશે. તેમજ વન્યજીવોને ખલેલ પહોંચાડે અથવા તેમને ઉશ્કેરે તેવા કોઈપણ પ્રકારના અવાજનું સર્જન કરવું પણ પ્રતિબંધિત રહેશે. સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાના ભાગરૂપે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જાહેર સૂચનાઓ આપવા માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ, મેગાફોન તથા વ્હીસલનો ઉપયોગ આ પ્રતિબંધમાંથી મુક્ત રહેશે. આ જાહેરનામાના ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, 2023 ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




