અમેરિકાએ ઈરાની બંદરને નષ્ટ કરી દીધું જેમાં ભારતનું સૌથી મોટું રોકાણ હતું

અમેરિકાએ તેના ત્રીજા પ્રયાસમાં ઈરાની બંદરને નષ્ટ કરી દીધું જેમાં ભારતનું સૌથી મોટું રોકાણ હતું. આ અમેરિકન સૈન્યનો ત્રીજો પ્રયાસ હતો, જેમાં તેણે ચાબહાર બંદર કંટ્રોલ ટાવરને નષ્ટ કરી દીધો. આ ટાવર શાહિદ કલંતરી બંદર પર બનેલું હતું. જે તૂટી પડતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
હુમલાના વીડિયો અને ફોટા ખુદ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. શેર કરેલા ફોટામાં વિસ્ફોટ પછી ટાવર જેવી ઇમારત તૂટી પડતી જોવા મળે છે. ચાબહાર વૉચટાવર પર આ બીજો અમેરિકી મિસાઇલ હુમલો છે. તે દરિયાઈ સુરક્ષા અને માછીમારોના બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી નાગરિક સુવિધા છે.
શુક્રવારે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ લશ્કરી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો કારણ કે બંને દેશોએ મધ્ય પૂર્વમાં એકબીજા પર હુમલો કર્યો. ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર અમેરિકી દળોએ રાત્રે ઈરાની નાગરિક માળખાને નિશાન બનાવીને હવાઈ હુમલા શરૂ કર્યા, જેમાં એક એરપોર્ટ, એક રેલ્વે સ્ટેશન અને બે પુલનો સમાવેશ થાય છે. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા. ઈરાનનો આરોપ છે કે અમેરિકા નાગરિક લક્ષ્યોને નિશાન બનાવી રહ્યું છે, જોકે યુએસ અધિકારીઓએ હજુ સુધી આ આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી.
આ તોપમારો વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયાના એક મહિના પછી જ થયો છે. ગયા મહિને જ બંને દેશોએ સંઘર્ષને રોકવા અને ફેબ્રુઆરીથી ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે આ વ્યવસ્થા લાંબા સમય સુધી ટકી ન હતી, જેના કારણે બંને દેશો ફરીથી યુદ્ધની અણી પર આવી ગયા હતા. જ્યારે ઈરાની સેનાએ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું ત્યારે તણાવ ફરી વધ્યો, જેના કારણે અમેરિકી સૈન્યએ ઈરાની બંદરોની નાકાબંધી કરી.




