દાહોદ ખાતે બેંક ઓફ બરોડાના 119મા સ્થાપના દિવસ નિમિત્તે સમાજસેવાને સમર્પિત સંદેશ આપ્યો

તા.૨૦.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ખાતે બેંક ઓફ બરોડાના 119મા સ્થાપના દિવસ નિમિત્તે સમાજસેવાને સમર્પિત સંદેશ આપ્યો
દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, બેંક ઓફ બરોડાએ પોતાના 119મા સ્થાપના દિવસની ઉજવણી સેવા, સમર્પણ અને સામાજિક જવાબદારીના સંદેશ સાથે કરી. આ અવસરે બેંક ઓફ બરોડા પ્રાદેશિક કચેરી, દાહોદ દ્વારા ઝાયડસ કોલેજ ખાતે વૃક્ષારોપણ અભિયાન તેમજ ઝાયડસ હોસ્પિટલના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.સ્થાપના દિવસ નિમિત્તે ઝાયડસ કોલેજ, દાહોદ ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રાદેશિક વડા શૈલેશ કુમાર શર્મા, ઉપ પ્રાદેશિક પ્રબંધક પ્રવીણ ગાંધી, દાહોદ મુખ્ય શાખાના શાખા પ્રબંધક નિકુ ગુપ્તા તથા ઝાયડસના CEO સંજય કુમાર ઉપસ્થિત રહ્યા. તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો અને વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેમના સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો.ત્યારબાદ ઝાયડસ હોસ્પિટલ, દાહોદના સહયોગથી બેંક ઓફ બરોડા પ્રાદેશિક કચેરી, ઓલ્ડ ઇન્દોર હાઇવે, દાહોદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ. આ શિબિરમાં બેંકના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કુલ 31 યુનિટ રક્તદાન કર્યું. આ રક્તદાન જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે.રક્તદાન શિબિરના અવસરે પ્રાદેશિક વડા શૈલેશ કુમાર શર્માએ જણાવ્યું કે, “રક્તદાન મહાદાન છે. એક યુનિટ રક્ત અનેક લોકોનું જીવન બચાવી શકે છે. દરેક સ્વસ્થ વ્યક્તિએ સમયાંતરે સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.” તેમણે તમામ રક્તદાતાઓના પ્રેરણાદાયી યોગદાનની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા સામાજિક કાર્યોમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી.આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજનમાં ઝાયડસ હોસ્પિટલ, ઝાયડસ કોલેજની ટીમ તેમજ બેંક ઓફ બરોડાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત આ બંને જનકલ્યાણકારી કાર્યક્રમો દ્વારા બેંક ઓફ બરોડાએ સમાજસેવા, પર્યાવરણ સંરક્ષણ અને માનવતાના મૂલ્યો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે





