GUJARAT:ગુજરાત સરકાર અબજો ખર્ચે છે પણ…! ઝારખંડની આદિવાસી મહિલાઓએ માત્ર ₹૨૦૦૦માં બોરીબંધ બાંધી દેશભ્રષ્ટ તંત્રને આંખ ઉઘાડતો સંદેશ આપ્યો

GUJARAT:ગુજરાત સરકાર અબજો ખર્ચે છે પણ…! ઝારખંડની આદિવાસી મહિલાઓએ માત્ર ₹૨૦૦૦માં બોરીબંધ બાંધી દેશભ્રષ્ટ તંત્રને આંખ ઉઘાડતો સંદેશ આપ્યો
બાલંભા (રીપોર્ટ લલીત નિમાવત):એક તરફ ગુજરાત સરકાર દર વર્ષે સુજલામ્ સુફલામ્ અને જળ સંચય અભિયાન હેઠળ તળાવો ઊંડા કરવા તેમજ નવા ચેકડેમોના નિર્માણ પાછળ અબજો રૂપિયાનો જંગી ખર્ચ કરે છે, જેથી ચોમાસાના પાણીનો સંગ્રહ થઈ શકે. પરંતુ બીજી તરફ દેશના કેટલાક આદિવાસી વિસ્તારો એવા પણ છે જ્યાં સિંચાઈની પ્રાથમિક સુવિધાઓ માટે તળાવ કે ચેકડેમ બનાવવાની તંત્ર કે સરકારે જરૂર જ સમજી નથી.
આવા જંગલો અને પહાડો વચ્ચે વસતા ગરીબ આદિવાસી ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતજમીન ધરાવે છે અને સિંચાઈ માટે સંપૂર્ણપણે નદી કે કુદરતી પાણી પર નિર્ભર રહીને ડાંગર (ચોખા) અને મકાઈનો પાક મેળવતા આવ્યા છે.
સરકારની અપેક્ષા વગર મહિલા શક્તિનો કિમીયો
ઝારખંડ રાજ્યના ખુંટી જિલ્લામાં વસતી આદિવાસી મહિલાઓએ સ્થાનિક તંત્ર કે સરકારની કોઈ પણ પ્રકારની રાહ જોયા વગર જળ સંચય માટે એક અનોખી મિસાલ કાયમ કરી છે. આ મહિલાઓએ પોતાની નિજી રકમમાંથી માત્ર ₹૨૦૦૦ના નજીવા ખર્ચે “બોરીબંધ” (સિમેન્ટ/રેતીની કોથળીઓનો બંધ) બનાવીને પાણી રોકવાનો સફળ પ્રયોગ કર્યો છે.
આ બોરીબંધ તળાવના કારણે ખેતી માટે સિંચાઈની ઉત્તમ વ્યવસ્થા ઊભી થઈ છે, જેણે આખા દેશના ભ્રષ્ટ તંત્ર અને નેતાઓ માટે આંખ ઉઘાડતો સંદેશ આપ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં કરી સરાહના
આદિવાસી મહિલાઓના આ દેશી અને સસ્તા જળ સંચયના પ્રયાસની નોંધ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી. તેમણે પોતાના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ **’મન કી બાત’**માં ખુંટી જિલ્લાની આ મહિલાઓના આત્મનિર્ભર પ્રયાસ, સૂઝબૂઝ અને જળ સંગ્રહના ભગીરથ કાર્યની જાહેરમાં પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતા.
ઓછા ખર્ચે અને સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરીને જળ સંચયનો આ સફળ પ્રયોગ આજે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ અને તંત્ર માટે મોટો પાઠ બની ગયો છે.







