સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. 2માં શાક માર્કેટ હોવા છતાં રોડ પર લારીઓનો કબજો, ટ્રાફિક સમસ્યા દૂર કરવા કોર્પોરેટર ચંદ્રિકાબેન આસોદરિયા રજૂઆત

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 અંતર્ગત મોટા વરાછા વિસ્તારમાં કરોડોના ખર્ચે ફ્રૂટ અને શાકભાજી માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં આજે પણ અનેક ફેરીયા અને લારીધારકો મુખ્ય માર્ગો પર જ વેપાર કરતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહનચાલકોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નં. 2ના કોર્પોરેટર ચંદ્રિકાબેન અનિલભાઈ આસોદરિયા દ્વારા સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ફ્રૂટ અને શાકભાજી માર્કેટને તાત્કાલિક કાર્યરત કરવાની, તમામ ફેરીયાઓને યોગ્ય આયોજન સાથે માર્કેટમાં સ્થળાંતર કરવાની તેમજ જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે બેસતા ફેરીયાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે વર્ષો પહેલાં માર્કેટમાં ફાળવાયેલી કેટલીક દુકાનો અને સ્ટોલ લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવતા નથી. આવા સ્ટોલની ફાળવણી રદ કરીને નવા અને જરૂરિયાતમંદ વેપારીઓને તક આપવામાં આવે તો માર્કેટ સંપૂર્ણ રીતે કાર્યરત બની શકે અને રસ્તાઓ પરનો દબાણ તથા ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે.
સ્થાનિક નાગરિકોમાં પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહાનગરપાલિકા આ રજૂઆતને ગંભીરતાથી લઈ ઝડપી નિર્ણય કરશે, જેથી મોટા વરાછા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત







