GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ધોરણ-1માં પ્રવેશ માટે બાલવાટિકાનું પ્રમાણપત્ર ફરજિયાત નહીં

રાજ્યમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણ હેઠળ ધોરણ-1માં પ્રવેશ માટે બાલવાટિકા (પ્રિ-સ્કૂલ) પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર ફરજિયાત હોવાની ગેરસમજ દૂર કરવા શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. વિભાગે તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓને સૂચના આપી છે કે ધોરણ-1માં પ્રવેશ માટે માત્ર બાળકની નિર્ધારિત વય અને જન્મનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. બાલવાટિકાનું પ્રમાણપત્ર રજૂ કરવાની કોઈ કાનૂની ફરજ નથી.

તાજેતરમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટે બાલવાટિકા સર્ટિફિકેટ ફરજિયાત માંગવામાં આવતું હોવાની ફરિયાદો શિક્ષણ વિભાગ સુધી પહોંચી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટ જણાવ્યું છે કે આવી માંગણી કાયદાની જોગવાઈઓને અનુરૂપ નથી.

પરિપત્ર અનુસાર, પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર નક્કી કરવા જન્મ, મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ હેઠળ જારી થયેલું જન્મ પ્રમાણપત્ર અથવા અન્ય માન્ય દસ્તાવેજનો આધાર લેવાશે. જો કોઈ કારણસર ઉંમરની સાબિતી ઉપલબ્ધ ન હોય તો પણ માત્ર તેના આધારે બાળકને પ્રવેશ નકારી શકાય નહીં.

શિક્ષણ વિભાગે વધુમાં જણાવ્યું છે કે, જો કોઈ શાળા બાલવાટિકાનું પ્રમાણપત્ર ન હોવાના કારણસર વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો ઇનકાર કરશે અથવા પ્રવેશ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરશે, તો તેને શિક્ષણના અધિકાર (RTE) કાયદાની કલમ-14નું ઉલ્લંઘન માનવામાં આવશે. આવા કિસ્સામાં સંબંધિત શાળા સામે નિયમો મુજબ કડક વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વિભાગે તમામ શાળા સંચાલકોને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવાની તેમજ વાલીઓને અનાવશ્યક દસ્તાવેજોની માંગણી કરીને હેરાન ન કરવાની સૂચના આપી છે. આ નિર્ણયથી ધોરણ-1માં પ્રવેશ માટે તૈયારી કરી રહેલા હજારો વાલીઓને રાહત મળશે અને રાજ્યભરમાં પ્રવેશ પ્રક્રિયા વધુ પારદર્શક બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!